મુખ્ય સમાચાર
News of Thursday, 7th July 2022

કનૈયાલાલની પત્નીના ખાતામાં ભાજપ નેતાએ કરોડ રૃપિયા ટ્રાન્સફર કર્યા

ઉદયપુરના દરજીની હત્યા બાદ પરિવારને સહાય : આ અગાઉ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે કન્હૈયાના પરિવારને ૫૧ લાખ રૃપિયાનો ચેક સોંપ્યો હતો

જયપુર, તા.૭ : નૂપુર શર્માના સમર્થનમાં ભૂલથી થયેલી એક પોસ્ટના કારણે ગળુ કાપીને હત્યા કરી દેવામાં આવેલ કન્હૈયાલાલની પત્નીના ખાતામાં બીજેપી નેતા કપિલ મિશ્રાએ ૧ કરોડ રૃપિયા ટ્રાન્સફર કરી દીધા છે.

કપિલ મિશ્રાએ ક્રાઉડ  ફન્ડિંગ દ્વારા આ નાણાં એકત્ર કર્યા હતા. કપિલે બુધવારે સાંજે ટ્વીટ પર એક સ્ક્રીનશોટ શેર કરીને જણાવ્યું કે, તેમણે કન્હૈયાલાલના પત્નીના ખાતામાં રકમ ટ્રાન્સફર કરી દીધી છે. આ અગાઉ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે કન્હૈયાના પરિવારને ૫૧ લાખ રૃપિયાનો ચેક સોંપ્યો હતો.

કપિલ મિશ્રાએ ટ્વીટ કર્યું કે, કન્હૈયાલાલજીના ધર્મ પત્નીના ખાતામાં તમારા દ્વારા આપવામાં આવેલા ૧ કરોડ રૃપિયા પહોંચી ગયા છે. ટ્વીટ સાથે આપવામાં આવેલા સ્ક્રીનશોટ પ્રમાણે ૬ જુલાઈના રોજ પહેલા ૫૦,૦૦,૦૦૦ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. અને ફરી ૪૯,૯૮,૮૮૯ રૃપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. છેલ્લા દિવસોમાં કપિલ મિશ્રાએ કન્હૈયાલાલના ઘરે જઈને પરિવાર સાથે મુલાકાત પણ કરી હતી.

૨૮ જૂનના રોજ રાજસ્થાનના ઉદયપુરમાં કન્હૈયાલાલની હત્યા બાદ કપિલ મિશ્રાએ તેમના પરિવારની મદદ માટે ઓનલાઈન ક્રાઉડ  ફન્ડિંગની શરૃઆત કરી હતી. તેમણે ૩૦ દિવસમાં ૧ કરોડ રૃપિયા એકત્રિત કરવાનો લક્ષ્ય રાખ્યો હતો. પરંતુ ૨૪ કલાકમાં જ આ રકમ એકત્રિત થઈ જવા પર તેમણે ટાર્ગેટને વધારીને ૧.૨૫ કરોડ રૃપિયા કરી દીધા અને કહ્યું કે, કન્હૈયાલાલને બચાવવાના પ્રયત્નમાં ઘાયલ થયેલા ઈશ્વર સિંહના પરિવારને પણ ૨૫ લાખ રૃપિયા આપવામાં આવશે. કપિલ મિશ્રાની વિનંતી પર કુલ ૧.૭ કરોડ રૃપિયાની રકમ એકત્રિત થઈ છે.

કપિલ મિશ્રાએ મહારાષ્ટ્રના અમરાવતીમાં નૂપુર શર્માના સમર્થનને કારણે હત્યા કરી દેવામાં આવેલ ઉમેશ કોલ્હેના પરિવારની પણ મદદ કરવાનું એલાન કર્યું છે. તેમણે ગુરૃવારે અમરાવતી જઈને પીડિત પરિવારની મુલાકાત લીધી હતી. તેમણે બુધવારે ટ્વીટ કર્યું હતું કે, કાલે અમરાવતીમાં ઉમેશ કોલ્હેજીના પરિવાર સાથે મળીશ. અમે તેમના પરિવારને ૩૦ લાખ રૃપિયાની સહાયતા આપી રહ્યા છીએ અને કાયદાકીય લડાઈમાં પણ સાથે ઊભા રહીશું.

(7:54 pm IST)