મુખ્ય સમાચાર
News of Friday, 7th August 2020

રામ મંદિર ટ્રસ્ટને અત્યાર સુધીમાં મળ્યું રૂ. ૪૧ કરોડનું દાન

રામ મંદિરનું નિર્માણ L & T કરશે અને મંદિર બનાવવામાં આશરે ત્રણથી સાડા ત્રણ વર્ષનો સમય લાગશે

નવી દિલ્હી તા. ૭ :.. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચ ઓગસ્ટે રામ મંદિરનું ભૂમિપૂજન કર્યુ અને મંદિરની આધારશિલા રાખી. ત્યારબાદ અયોધ્યામાં પ્રસ્તાવિત રામ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થઇ ગયું છે. જો કે મંદિર નિર્માણથી પહેલાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને અત્યાર સુધીમાં ૪૧ કરોડ રૂપિયાનું દાન પ્રાપ્ત થયું છે.

આમાં ધર્મગુરૂઓ દ્વારા કરવામાં આવેલું દાન સામેલ નથી, જેમાં પરમાર્થ નિકેતનના સ્વામી ચિદાનંદ સરસ્વતી, જુના અખાડાના સ્વામી અવધેશાનંદગીરી, બાબા રામદેવ અને અન્ય સન્માનીય વ્યકિતઓ સામેલ નથી, જે બુધવારે ભૂમિ પૂજનના પ્રસંગે અયોધ્યામાં મોજૂદ નહોતાં.

મોરારીબાપુ દ્વારા  ૧૧ કરોડ રૂપિયા દાન

ટ્રસ્ટના કોષાધ્યક્ષ સ્વામી ગોવિંદ દેવગીરીના અનુસાર મંગળવારને છેલ્લી વાર જોવામાં આવ્યું હતું ત્યારે ટ્રસ્ટમાં કુલ દાન ૩૦ કરોડ રૂપિયા હતું. રામાયણ કથાકાર મોરારીબાપુ દ્વારા ૧૧ કરોડ રૂપિયા દાન કર્યા પછી આ ભંડોળ વધીને ૪૧ કરોડ રૂપિયા થયું હતું. જો કે આ રકમમાં બુધવારે કરવામાં આવેલું દાન સામેલ નથી. તેમણે એમ પણ કહયું હતું કે કોવિડ-૧૯ રોગચાળા દરમ્યાન પણ લોકોએ રામ મંદિર માટે દાન કર્યુ હતું. રામ મંદિરનું નિર્માણ  L & T  કરશે અને મંદિર બનાવવામાં આશરે ત્રણથી સાડા ત્રણ વર્ષનો સમય લાગશે.

(11:24 am IST)