બેંગલુરૂમાં ર૭ વર્ષિય મહિલાને હોસ્પિટલમાંથી રજા બાદ ફરી કોરોના પોઝિટીવ
બેંગલુરૂ,તા. ૭: કર્ણાટકમાં કોરોના વાઈરસ રી-ઈન્ફેકશનનો પ્રથમ કેસ સામે આવ્યો છે. જેમાં એક ૨૭ વર્ષની મહિલાને હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ ફરીથી કોરોના પોઝિટિવ મળી આવી છે. આ જાણકારી બેંગલુરૂની ખાનગી હોસ્પિટલે આપી છે. શહેરના બન્ને ઘટ્ટા રોડ સ્થિત ફોર્ટિસ હોસ્પિટલમાં કોરોના વાઈરસથી રી-ઈન્ફેકશનનો કેસ સામે આવ્યો છે.
આ અંગે ડોકટરોના જણાવ્યા પ્રમાણે, આવા મામલામાં વ્યકિત એન્ટીબાઙ્ખડી પ્રોડ્યૂસ નથી કરી શકત. અહીં સુધી કે જો તેઓ એન્ટીબોડી પ્રોડ્યૂસ કરી પણ લે, તો તે લાંબા સમય સુધી નથી ટકતી. જેના કારણે સંક્રમણ વધવાનું જોખમ રહે છે.
અગાઉ ૨૪ ઓગસ્ટે આવો જ એક કેસ હોગકોંગમાં સામે આવ્યો હતો. જયાં એક ૩૩ વર્ષનો વ્યકિત કોરોના વાઈરસથી બીજી વખત સંક્રમિત થઈ ગયો હતો.
ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ પ્રમાણે, આ વ્યકિત પ્રથમ વખત માર્ચમાં કોરોનાથી સંક્રમિત થયો હતો. જે બાદ સાડા ચાર મહિના પછી તેને રિપોર્ટ ફરીથી કોરોના પોઝિટિવ આવ્યો છે. પ્રથમ વખત સંક્રમણ દરમિયાન આ શખ્સને ઉધરસ, ગળામાં દુખાવો, તાવ અને માથામાં દુખાવા જેવા લક્ષણો જોવા મળ્યા હતા. જો કે બીજી વખત તેમાંથી એક પણ લક્ષણો જણાંયા નહતા.
જયારે હોંગકોંગનો કેસ સામે આવ્યો હતો, ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)નું કહેવું હતું કે, કોઈ એક દર્દીના કારણે સીધુ પરિણામ પર પહોંચવું જરૂરી નથી. આપણે વસ્તીના આધારે આ બાબત જોવી જોઈએ.
હેલ્થ એકસપર્ટનું પણ માનવું છે કે, પુનૅં સંક્રમણ થવું અતિદુર્લભ છે અને તે વધુ ગંભીર હોય, તેવું પણ નથી. આ સિવાય બીજી વખત સંક્રમણ દરમિયાન દર્દીમાં કોઈ લક્ષણો જોવા નથી મળ્યા. જેનો અર્થ છે કે, ઈમ્યૂન સિસ્ટમ સુરક્ષા પૂરી પાડે છે, ભલે તે સંક્રમણને સંપૂર્ણ રોકીના શકે.
એક વખત સંક્રમિત થયા બાદ કોઈ કયાં સુધી કોરોનાથી સુરક્ષિત રહી શકે છે? તેનો હજુ સુધી કોઈ સ્પષ્ટ જવાબ નથી. જેમ-જેમ ફરીથી સંક્રમણના કેસો સામે આવશે, તેમ-તેમ વાઈરસના સંપર્કમાં આવવાથી ઉભી થતી એન્ટીબોડી અને તેના પ્રકારની અનિશ્યિતતા ઉભી રહેશે.