ઉજ્જવલા સ્કીમ હેઠળ સરકાર ગેસ કનેકશન માટે આપશે ૧૬૦૦ રૂપિયા
આ સ્કીમના આધારે ગરીબી રેખાથી નીચેના પરિવારોને મળશે લાભ
નવી દિલ્હી તા. ૮ : ૧ ફેબ્રુઆરીએ જાહેર કરાયેલા બજેટમાં નાણામંત્રીએ એક કરોડ નવા ગેસ કનેકશન આપવાની જાહેરાત કરી છે. આ ગેસ કનેકશનના આધારે સરકારે આ સ્કીમનો વિસ્તાર કરવાની વાત કરી છે. આ સ્કીમના આધારે ગરીબી રેખાથી નીચેના પરિવારોને ઘરેલૂ રસોઈ ગેસનું કનેકશન અપાશે.
ઉજ્જવલા યોજનાના આધારે ગેસ કનેકશન લેવા માટે બીપીએલ પરિવારથી કોઈ પણ મહિલા એપ્લાય કરી શકે છે.આ માટે કેવાયસી ફોર્મ ભરીને એલપીજી સેન્ટરમાં જમા કરાવવાનું રહે છે. એપ્લાય કરતી સમયે તમારે કહેવાનું રહેશે કે તમારે ૧૪.૨ કિલોનો સિલિન્ડર જોઈએ છે કે ૫ કિલોનો.ઉજ્જવલા યોજનામાં ફોર્મ તમે પીએમ ઉજ્જવલા યોજનાની વેબસાઈટથી ડાઉનલોડ કરી શકો છો. આ સિવાય તમે એલપીજી સેન્ટરથી પણ લઈ શકો છો.
આ યોજનાનો લાભ લેવા માટે તમારે પંચાયત અધિકારી કે નગર નિગમ પાલિકા અધ્યક્ષનું બીપીએલ કાર્ડ, બીપીએલનું રાશનકાર્ડ, આધાર કાર્ડ, વોટરઆઈડી, પાસપોર્ટ સાઈઝ ફોટો, રાશનકાર્ડની કોપી, એલઆઈસી પોલિસી, બેંકનું સ્ટેટમેન્ટ જેવા ડોકયૂમેન્ટ જરૂરી છે.