કંગના રનૌતને ગાળો આપનાર શિવસેનાનાં નેતા સંજય રાઉતનું પ્રમોશનઃ બન્યા પાર્ટીનાં મુખ્ય પ્રવકતા
સંજય રાઉત સિવાય શિવસેનાએ અન્ય ૧૦ સભ્યોની પ્રવકતા તરીકે નિમણૂક કરી છે
મુંબઇ, તા.૮: અભિનેત્રી કંગના રનૌતને હરામખોર કહેનાર શિવસેનાના સાંસદ સંજય રાઉતનું પ્રમોશન થઇ ગયું છે. કંગના સાથે શબ્દિક જંગને લઈને ચર્ચામાં છવાયેલા શિવસેનાના નેતા સંજય રાઉતને શિવસેના પ્રમુખ ઉદ્ઘવ ઠાકરે દ્વારા પાર્ટીના મુખ્ય પ્રવકતા તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે. શિવસેનાએ આ જાહેરાત મંગળવારે પાર્ટીના મુખપત્ર સામનામાં કરી હતી.
સંજય રાઉત સિવાય શિવસેનાએ અન્ય ૧૦ સભ્યોની પ્રવકતા તરીકે નિમણૂક કરી છે. જેમાં શિવસેનાના સાંસદ અરવિંદ સાવંત, પ્રિયંકા ચતુર્વેદી અને ધીરશીલ માને, મહારાષ્ટ્રના પ્રધાનો અનિલ પરબ, ઉદય સામંતા અને ગુલાબરાવ પાટીલ, ધારાસભ્યો નીલમ ગોર, પ્રતાપ સરનાઇક અને સુનિલ પ્રભુ વગેરેનો સમાવેશ થાય છે. મુંબઈના મેયર કિશોરી પેડનેકરની પણ પ્રવકતા તરીકે નિમણૂક કરવામાં આવ્ય હતા. વર્તમાન વિવાદમાં સરનાઈક કંગના અને ભાજપ વિરુદ્ઘ અવાજ ઉઠાવી રહ્યા છે.કંગના રનૌત વિરુદ્ઘ ટિપ્પણી કરવા બદલ સંજય રાઉતની પણ ટીકા થઈ છે. જો કે, પક્ષના આંતરિક સૂત્રોએ જણાવ્યું હતું કે આ જાહેરાત પાર્ટીના સભ્યોને કંગના અને શિવસેનાના નેતા વચ્ચે ચાલી રહેલા વિવાદ અંગે પાર્ટી વતી ન બોલવાનો સંદેશ મોકલવાનો છે.
હકીકતમાં સુશાંત સિંહ કેસમાં છેલ્લા દ્યણા દિવસોથી કંગના રનૌત અને શિવસેનાના નેતાઓ વચ્ચે ટ્વિટર પર મૌખિક યુદ્ઘ ચાલી રહ્યું છે. કંગના રનૌતે ટ્વીટ કર્યું હતું કે તેમને મહારાષ્ટ્ર પોલીસ પર વિશ્વાસ નથી. તે જ સમયે, તેણીની સુરક્ષા હરિયાણા પોલીસ અથવા કેન્દ્રની એજન્સી દ્વારા લેવામાં આવે તેવું ઇચ્છે છે. આ પછી શિવસેના સંજય રાઉતે કંગનાને મુંબઈ પાછા ન આવવા કહ્યું અને કંગના માટે હરામખોર શબ્દનો ઉપયોગ કર્યો.