ઈએમઆઈમાં કોઈ રાહત નહિઃ વ્યાજદરો યથાવત
રીઝર્વ બેન્કે જાહેર કરી નાણાકીય સમિક્ષાઃ જીડીપી ગ્રોથનું અનુમાન ૯.૫ ટકા યથાવત રાખ્યું
નવી દિલ્હી, તા. ૮ :. ભારતીય રીઝર્વ બેન્કે આજે નાણાકીય નીતિની સમીક્ષા કરી હતી અને સતત ૯મી વખત વ્યાજના દરો યથાવત રાખ્યા છે. જેના કારણે ઈએમઆઈમાં કોઈ રાહત નહિ મળતા લોનધારકો નિરાશ થયા છે.
રીઝર્વ બેન્ક દર બે મહિને બેઠક યોજે છે અને રીઝર્વ બેન્કના ગવર્નર શકિતકાંત દાસ તેના નિર્ણયોની જાણ દેશને કરતા હોય છે. આજે તેમણે જણાવ્યુ છે કે રીઝર્વ બેન્કે વ્યાજદરો યથાવત રાખ્યા છે એટલે કે રેપોેરેટ અને રીવર્સ રેપોરેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જેના કારણે ઈએમઆઈમાં લોકોને કોઈ રાહત મળી નથી. રીઝર્વ બેન્કે આ વર્ષ ૨૦૨૧-૨૨ માટે જીડીપી ગ્રોથનું અનુમાન ૯.૫ ટકા યથાવત રાખ્યુ છે. રીઝર્વ બેન્કે રેપોરેટ ૪ ટકા અને રીવર્સ રેપોરેટ ૩.૩૫ ટકા યથાવત રાખ્યા છે. રીટેલ ફુગાવો ૫.૩ ટકા રહેશે તેનુ અનુમાન વ્યકત કરવામાં આવ્યુ છે.