મુખ્ય સમાચાર
News of Sunday, 9th May 2021

દિલ્હીમાં હોસ્પિટલમાંથી 23 કોરોના પોઝિટિવ દર્દીઓ ગાયબ થતા તંત્રમાં દોડધામ સમગ્ર ઘટનાની તપાસ શરૂ : દિલ્હી સરકાર તેમજ પોલીસને પણ જાણ કરાઈ

ઉત્તરી દિલ્હીમાં આવેલા હિન્દુ રાવ હોસ્પિટલમાંથી કોરોનાના 23 દર્દીઓ ગાયબ થઈ ગયા બાદ તંત્રમાં હડકંપ મચી ગયો છે.હવે ચારે તરફ આ દર્દીઓને શોધવા માટે દોડધામ ચાલી રહી છે.

આ ઘટના બાદ હવે હોસ્પિટલને પણ કડક આદેશ અપાયો છે કે, જો કોઈ કોરોના દર્દી જાણ કર્યા વગર જતો રહે તો આ અંગે દિલ્હી સરકાર અને પોલીસને સૂચના આપવામાં આવે.હોસ્પિટલમાં દર્દીઓના વગર કહે જતા રહેવા પર ઉત્તર દિલ્હી કોર્પોરેશનના મેયર જયપ્રકાશે કહ્યુ હતુ કે, સમગ્ર ઘટનાની તપાસ થઈ રહી છે અને દિલ્હી સરકાર તેમજ પોલીસને પણ તેની જાણ કરાઈ છે.

તેમણે કહ્યુ હતુ કે, આ હોસ્પિટલ 18 એપ્રિલથી શરુ કરાયુ હતુ અને તેમાં અત્યાર સુધીમાં 650 દર્દીઓ દાખલ થઈ ચુક્યા છે.જેમાંથી 150 દર્દીઓ સાજા થઈને ગયા છે.જોકે કેટલાક દર્દીઓ અમને કહ્યા વગર રવાના થઈ ગયા છે.આ હોસ્પિટલ ગયા મહિને જ શરુ થઈ છે અને અહીંયાથી ગાયબ દર્દીઓએ તંત્રની ચિંતા વધારી છે.કારણકે તેઓ બીજા લોકોમાં પણ સંક્રમણ ફેલાવી શકે છે. તંત્રનો દાવો છે કે, કેટલાક દર્દીઓ બીજી હોસ્પિટલમાં અને કેટલાક ઘરે હોવાનુ અમને જાણવા મળ્યુ છે.

(11:37 pm IST)