અમરનાથ યાત્રાઃ દરેક શ્રદ્ધાળુનો પાંચ લાખનો વીમો
યાત્રીકોની રિયલ ટાઇમ ટ્રેકિંગ સાથે ડોક્ટરોની ટુકડીઓ સતત ખડેપગે રહેશે
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે એમ કહ્યું છે કે નરેન્દ્ર મોદી સરકારની પ્રાથમિકતા એ સુનિશ્ચિત કરવાની છે કે અમરનાથ તીર્થયાત્રિકોની યાત્રા સુવિધાજનક બને. ગૃહ મંત્રીએ પહેલી જુલાઈ થી શરૂ થનારી યાત્રાની તૈયારીની સમીક્ષા કરી છે અને મહત્વની જાણકારી આપી છે.
તેમણે કહ્યું હતું કે દરેક તીર્થયાત્રી નો રૂપિયા પાંચ લાખનો વીમો થશે અને તેમને વીમા કવચ આપવામાં આવશે એ જ રીતે દરેક યાત્રી ના રિયલ ટાઈમ લોકેશન જાણવા માટે તેમને ખાસ કાર્ડ આપવામાં આવશે.એ જ રીતે યાત્રિકોની સુવિધા માટે શ્રીનગર અને જમ્મુ માંથી રાત્રે પણ હવાઈ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવશે અને ડોક્ટરોની ટુકડી સતત યાત્રિકો માટે ખડે પગે રહેશે. આમ આ વખતે અમરનાથ યાત્રાના માર્ગ પર સુરક્ષાનો પૂરતો બંદોબસ્ત રાખવાનો નિર્દેશ આપી દેવામાં આવ્યો છે અને અધિકારીઓને સમગ્ર માર્ગ પર પૂરતી વ્યવસ્થા કરવાની સૂચના આપી દેવામાં આવી છે.
સમીક્ષા માટે યોજાયેલી બેઠકમાં એવી ચર્ચા પણ થઈ હતી કે આ વખતે પાંચ લાખથી પણ વધુ યાત્રિકો અમરનાથ યાત્રામાં પહોંચી શકે છે અને તેને ધ્યાનમાં રાખીને બધાને દરેક પ્રકારની સુવિધા મળે તે માટેની સૂચના આપી દેવામાં આવી છે અને સુરક્ષાનો લોખંડી બંદોબસ્ત રાખવામાં આવશે