મોદી સરકારના કુલ 78 મંત્રીઓમાંથી 42 ટકા મંત્રીઓ કલંકિત : જુદા જુદા આરોપો ધરાવતા મંત્રીઓ પૈકી 31 ટકા ઉપર હત્યા કરવાના સહીત ગંભીર આરોપો હોવાની કબૂલાત : 90 ટકા મંત્રી કરોડપતિ : ચૂંટણી સમયે આપેલા સોગંદનામા મુજબ એડીઆરનો રિપોર્ટ
ન્યુદિલ્હી : તાજેતરમાં મોદી સરકારમાં નવા 43 મંત્રીઓ ઉમેરાતા મંત્રી મંડળની કુલ સંખ્યા 78 થઇ છે. આ 78 મંત્રીઓ પૈકી 42 ટકા એટલેકે 33 મંત્રીઓ કલંકિત છે. જુદા જુદા આરોપો ધરાવતા મંત્રીઓ પૈકી 31 ટકા એટલેકે 24 મંત્રીઓ ઉપર હત્યા કરવાના સહીત ગંભીર આરોપો છે. 90 ટકા મંત્રી કરોડપતિ છે. એશોશિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ ( એડીઆર ) દ્વારા ચૂંટણી સમયના સોગંદનામાને ધ્યાનમાં રાખી આ અહેવાલ પ્રસારિત કરાયો છે.
ગંભીર આરોપો ધરાવતા મંત્રીઓ પૈકી સૌથી યુવા વયના એટલેકે 35 વર્ષની વયના ગણાતા મંત્રી નિષાદ પ્રમાણીકે પોતાના ઉપર હત્યાનો આરોપ હોવાની કબૂલાત કરી છે. ઉપરાંત ત્રણ અન્ય મંત્રીઓ પંકજ ચૌધરી ,જોન બારલા , તથા વી.મુરલીધરન સહીત કુલ ચાર મંત્રીઓએ પોતાના ઉપર હત્યાનો આરોપ હોવાનું કબુલ્યું છે.
મંત્રી મંડળના 90 ટકા કરોડપતિ મંત્રીઓ પૈકી 4 મંત્રીઓએ પોતાની પાસે 50 કરોડ રૂપિયા ઉપરાંતની સંપત્તિ હોવાનું કબુલ્યું છે.જેમાં જ્યોતિરાદિત્ય સિંધિયા ,પિયુષ ગોયલ ,નારાયણ તાંતુ રાણે ,તથા રાજીવ ચંદ્રશેખરનો સમાવેશ થાય છે. તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.