મોદી સરકારે યુવાઓનું ભવિષ્ય કચડી નાખ્યું : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીના પ્રહારો
ટ્વિટર પર વીડિયો પોસ્ટ કરી સરકાર પર આરોપ : કેન્દ્રએ લોકડાઉનનો ખોટો નિર્ણય લીધો જેના લીધે પહેલેથી જ સુસ્ત ઈકોનોમીને મોટો ફટકો વાગ્યો હોવાનો આક્ષેપ
નવી દિલ્હી, તા. ૧૦ : કેન્દ્રની મોદી સરકાર પર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ બેરોજગારી અને માંદલા અર્થતંત્રના મામલે હુમલાઓ જારી રાખ્યા છે. રાહુલ ગાંધીએ ગુરૂવારે ફરી એક વખત ટ્વિટર પર વિડિયો પોસ્ટ કરીને મોદી સરકારને ભારતની બેહાલ અર્થતંત્ર માટે જવાબદાર ઠેરવી છે.
વિડિયો પોસ્ટ કરીને રાહુલ ગાંધીએ લખ્યું છે કે, મોદી સરકારે યુવાઓના ભવિષ્યને કચડી નાંખ્યું છે. કેન્દ્ર સરકારે કોરોના વાયરસના કારણે લોકડાઉન લાગુ કરવાનો ખોટો નિર્ણય લીધો હતો.જેના કારણે પહેલેથી જ સુસ્ત ઈકોનોમીને મોટો ફટકો વાગ્યો હતો અને જીડીપીમાં ભારે ઘટાડો નોંધાયો છે.યુવાઓ બેરોજગાર થઈ ગયા છે.
રાહુલે વિડિયોમાં કહ્યું હતું કે, મોદી સરકારની નીતિઓથી કરોડો લોકો નોકરી ગુમાવી બેઠા છે.ભારતના યુવાઓનુ ભવિષ્ય કચડાઈ ગયુ છે.કેન્દ્ર સરકાર ગરીબો અને બેકારોને ન્યાય આપે. આ પહેલા રાહુલ ગાંધીએ લોકડાઉનના ગરીબ વર્ગ માટે મૃત્યુની સજા ગણાવવ્યુ હતુ અને કહ્યુ હતુ કે, વગર કોઈ તૈયારીએ લોકડાઉન લાગુ કરવાથી ભારતનીઈકોનોમીને બહુ મોટો ધક્કો લાગ્યો છે. આજે સતત પાંચમો દિવસ છે જ્યારે રાહુલ ગાંધીએ ખાડામાં પડેલી અર્થતંત્રને લઈને મોદી સરકારને નિશાન બનાવી છે.