યુપી ભાજપનું ઘર સળગતા સંઘ બન્યુ ફાયરફાઈટરઃ નિકળ્યો વચલો રસ્તોઃ અરવિંદકુમાર શર્મા અને જિતિન પ્રસાદ બનશે મંત્રી
સંઘે દરમિયાનગીરી કરીઃ સંઘના આશિર્વાદથી યોગી સીએમ તરીકે ચાલુ રહેશેઃ મંત્રી મંડળનું વિસ્તરણ અને ફેરબદલ થશે
નવી દિલ્હી, તા. ૧૧ :. ભાજપના માતૃ સંગઠન સંઘની શિસ્તની લાઠી ફરી એક વખત ભારે પડી છે અને યુપીને લઈને સંઘે દિલ્હીમાં ૩ દિવસ મંથન કર્યા બાદ પોતાની સલાહ ભાજપને નેતૃત્વને આપી છે તેના પર ભાજપે અમલ શરૂ કરી દીધો છે.
ગઈકાલે સીએમ યોગી ગૃહમંત્રી શાહ અને ભાજપના પ્રમુખ નડ્ડાને મળ્યા હતા. જેમાં મંત્રી મંડળના વિસ્તરણ અંગે ચર્ચા થઈ હતી. સંઘના આશિર્વાદથી યોગી સીએમ તરીકે ચાલુ રહેશે. થયેલી ચર્ચા અનુસાર પૂર્વ આઈએએસ અરવિંદકુમાર શર્મા અને ભાજપમા નવેનવા આવેલા જિતિન પ્રસાદ રાજ્યમાં મંત્રી બની શકે છે. જો કે બન્નેમાંથી એક પણ નાયબ મુખ્યમંત્રી નહિ બને.
એવી સંભાવના છે કે વર્તમાન નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્મા અને કેશવપ્રસાદ મૌર્ય પોતાના પદ પર ચાલુ રહેશે અને તેમના વિભાગ પણ પોતાની પાસે જ રહેશે.
જો કે મંત્રી મંડળમા પછાતો અને દલિતોનું પ્રતિનિધિત્વ વધારાશે તેથી હિન્દુત્વના સંરક્ષણમાં સામાજિક સંતુલન જળવાય રહેશે. અપના દળના અનુપ્રિયા પટેલને પણ મહત્વનું સ્થાન મળે તેવી સંભાવના છે. તેઓ પણ ગઈકાલે શાહને મળ્યા હતા.
યુપી મંત્રી મંડળનું ટૂંક સમયમાં વિસ્તરણ અને ફેરબદલ થશે. આજે સીએમ યોગી પીએમ મોદીને મળશે અને પછી ભાજપમા બધુ ઠીકઠાક છે એ સંદેશો આપી પક્ષના નેતાઓ ચૂંટણીના કામમાં લાગી જશે.
યુપીની રાજનીતિમાં બ્રાહ્મણો કિંગમેકરઃ ભાજપ માટે ટ્રમ્પકાર્ડ સાબિત થશે જિતિન પ્રસાદ ?
નવી દિલ્હીઃ જિતિન પ્રસાદને યુપીમાં કોંગ્રેસનો બ્રાહ્મણ ચહેરો માનવામાં આવતો હતો. કોંગ્રેસ છોડી કેસરીયા કરનાર જિતિન પ્રસાદ ભાજપ માટે ટ્રમ્પકાર્ડ સાબિત થાય તેવી શકયતા છે. ભાજપ તેને બ્રાહ્મણના ચહેરા તરીકે આગળ કરશે. યુપીમાં તિવારી, શુકલા, પાંડે, દુબે, દ્વિવેદી, પાઠક, શર્મા, ત્રિપાઠી જેવા લોકોનું વર્ચસ્વ છે. યુપીમાં બ્રાહ્મણોની મોટી સંખ્યા છે. બ્રાહ્મણોનો પ્રભાવ ૨૦થી ૨૫ ટકા સુધીનો છે. ૨૦૧૭માં અહીંથી ૫૮ બ્રાહ્મણ ધારાસભ્યો બન્યા હતા. વાજપેઈ અને ડો. મુરલી જોશી પછી રાજ્યમાં કોઈ મોટા બ્રાહ્મણ નેતા નથી હવે ભાજપ ઈચ્છે છે કે જિતિન પ્રસાદ બ્રાહ્મણોમાં લોકપ્રિય બની પક્ષને ફાયદો કરાવશે.