યોગી શાહ મુલાકાતનું ઘૂંટાતું રહસ્ય : યુપીમાં ચૂંટણી પૂર્વે સરકાર, પ્રધાનો અને ધારાસભ્યો વચ્ચે સમન્વયનો અભાવ તથા પછાત જ્ઞાતિઓમાં ભાજપ પ્રત્યે ભારે ઘૂંઘવાટ એ મુખ્ય કારણ?
ઉત્તર પ્રદેશમાં વધતા જતા રાજકીય તનાવ વચ્ચે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગઈકાલે અમિતભાઈને પોણા બે કલાક સુધી મળ્યા હતા. મિટિંગ શરૂ થતા પૂર્વે યોગી આદિત્યનાથને પંદર મિનિટ રાહ જોવી પડી હતી. આજે તેઓ વડાપ્રધાન નરેન્દ્રભાઈ ને પણ મળી રહ્યા છે. યોગીની નજીકના વર્તુળો કહી રહ્યા છે કે આ બેઠક માત્ર કોરોના મહામારી દરમિયાન રાજ્ય સરકાર તરફથી લેવામાં આવેલા પગલાઓ સંદર્ભે હતી, પરંતુ આંતરિક સૂત્રો જણાવે છે કે યુપીમાં સરકાર પ્રત્યે પછાત જ્ઞાતિઓની નારાજગીને લઈને નેતૃત્વ ભારે ચિંતિત છે. આવતા વર્ષે ઉત્તરપ્રદેશમાં ચૂંટણીઓ આવી રહી છે ત્યારે બંગાળ જેવો ભાજપનો ધબડકો ન થાય તે માટે ભાજપ હાઇકમાન્ડ તમામ પગલાઓ લઈ રહી છે. રાષ્ટ્રીય સંગઠન મંત્રી એ ઉત્તર પ્રદેશ થી પાછા ફરીને તે રિપોર્ટ હાઈ કમાન્ડને સોંપ્યો છે તેમાં પણ ઉત્તર પ્રદેશ સરકારના ધારાસભ્યો, પ્રધાનો અને મુખ્યમંત્રી વચ્ચે સમન્વયની ભારે કમીને ઉજાગર કરવામાં આવેલ છે.