મુખ્ય સમાચાર
News of Friday, 11th June 2021

હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા દિલીપ કુમાર : પ્રેમ અને સ્નેહ માટે ફેન્સનો માન્યો આભાર

તેઓ પોતાના ઘરે પહોંચ્યા છે. એક્ટરના ટ્વીટર એકાઉન્ટ ઉપર જાણકારી આપી

મુંબઈઃ દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યા છે. તેઓ પોતાના ઘરે પહોંચ્યા છે. એક્ટરના ટ્વીટર એકાઉન્ટ ઉપર આ જાણાકરી આપવામાં આવી છે. આ સાથે પ્રેમ અને સ્નેહ માટે પરિવારના મિત્ર ફેસલ ફારુકીએ ફેન્સનો આભાર માન્યો હતો.

બોલિવૂડનાં દિગ્ગજ એક્ટર દિલીપ કુમારને સ્વાસ્થ્ય સંબંધી બીમારીને કારણે મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. અહીં તેમનાં ઇલાજ બાદ તેમનાં સ્વાસ્થ્યમાં સુધારો આવ્યો છે. તેથી આજે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. દિલીપ કુમારને શ્વાસ લેવામાં તકલીફ પડતી તી જેને કારણે રવિવારે (6 જૂન)નાં મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. એક્ટરનાં હોસ્પિટલમાં ગયા બાદથી તેનાં ફેન્સ સતત તેમનાં સ્વાસ્થ્ય માટે દુઆઓ કરી રહ્યાં હતાં. આ પહેલાં પણ ખબર હતી કે, તેમને ગુરુવારે હોસ્પિટલમાંથી રજા મળી જશે. પણ એવું થયું ન હતું.

દિલીપ કુમારે બુધવારનાં એક સફળ પ્લ્યૂરલ એસપિરેશનપ્રોસિડ્યૂરમાંથી પસાર થવું પડ્યું હતું. જે બાદ તેમની તબિયતમાં સુધારો આવ્યો હતો. દિલીપ કુમાર કાર્ડિયોલોજિસ્ટ ડો. નિતિન ગોખલે અને પલ્મોનોલોજિસ્ટ ડો જલીલ પારકરની દેખરેખમાં હતાં. સોમવારનાં હોસ્પિટલમાં તેની એક તસવીર સાયરા બાનોની સાથે સામે આવી હતી. જેમાં દિલીપ કુમાર ઘણાં કમજોર નજર આવી રહ્યાં હતાં. જે બાદ ફેન્સને તેમની ચિંતા સતાવવા લાગી હતી.

હોસ્પિટલમાં દાખલ થયા બાદ દિલીપ કુમારનાં નિધનની ખબર પણ સામે આવી હતી. સાયરા બાનોએ તેને ખોટી ગણાવતા ટ્વિટ કરી હતી. દિલીપ કુમારનાં ઓફિશિયલ ટ્વિટર હેન્ડલથી આ ટ્વિટ કરવામાં આવી હતી.

ટ્વિટમાં લખ્યું હતું કે, 'કોઇપણ પ્રકારનાં વ્હોટ્સ એપ ફોરવર્ડ પર વિશ્વાસ ન કરો. સાહબ એકદમ સ્થિર છે. આપનાં દિલથી નિકળેલી દુઆઓ માટે ખુબ ખુબ ધન્યવાદ. ડોક્ટર્સનાં જણાવ્યાં મુજબ, તેઓને 2-3 દિવસની અંદર હોસ્પિટલમાંથી રજા મળી જશે.' આપને જણાવી દઇએ કે દિલીપ કુમારનો જન્મ 11 ડિસેમ્બર 1922નાં પાકિસ્તાનમાં થયો હતો. તેમનું સાચુ નામ યૂસુફ ખાન છે.

(2:05 pm IST)