'નારાજ' પાયલટને મનાવવા પ્રિયંકા મેદાને
ગત મોડી રાત્રે પ્રિયંકાએ ચકરડા ઘુમાવ્યા
જયપુર, તા.૧૧: રાજસ્થાનમાં રાજકીય હલચલ તેજ બની ગઇ છે. સુલહ કમિટીના રિપોર્ટને લઇને પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ નારાજ છે. કોંગ્રેસ હાઇકમાન્ડે સચિન પાયલટને મનાવવાનો પ્રયાસ કર્યો છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસના તમામ મોટા નેતાઓએ મોડી રાત્રે સચિન પાયલટને ફોન કર્યો હતો અને સમાધાનનો વિશ્વાસ અપાવ્યો હતો.
આ વચ્ચે સમાચાર આવી રહ્યા છે કે સચિન પાયલટ આ મામલે આજે ચુપ રહેશે અને દિલ્હી જશે. આ વચ્ચે અચાનક સચિન પાયલટ સવારે સવારે દૌસા પહોચી ગયા હતા. અહી પોતાના પિતા સ્વર્ગિય રાજેશ પાયલટને શ્રદ્ઘાંજલિ આપી હતી, તેમની સાથે અડધો ડઝન ધારાસભ્ય છે.
આ વચ્ચે સચિન પાયલટ જૂથમાંથી રાજીનામુ આપનારા ધારાસભ્ય હેમારામ ચૌધરી મોડી રાત્રે જયપુર પહોચ્યા હતા. તે આજે વિધાનસભા અધ્યક્ષ સીપી જોશીને મળશે. વિધાનસભા અધ્યક્ષ સીપી જોશીએ કહ્યુ હતું કે વ્યકિતગત મળ્યા બાદ જ રાજીનામા પર નિર્ણય લેશે.
દેશની ગ્રાંડ ઓલ્ડ પાર્ટી કોંગ્રેસ સંકટ સામે ઝઝુમી રહી છે. જિતિન પ્રસાદે કોંગ્રેસ છોડી દીધી છે. નવજયોત સિહ સિદ્ઘૂ અને સચિન પાયલટ નારાજ છે.. કોંગ્રેસમાં મંથન અને ચિંતન ચાલી રહ્યુ છે. સચિન પાયલટ મૌન છે પરંતુ તેમના મૌનનું કારણ અસંતોષ છે. નારાજગી પાછળ તે દાવા છે જે પુરા નથી થયા.