રાજુ શ્રીવાસ્તવની હાલત નાજુકઃ વેન્ટિલેટર સપોર્ટ પર
પ્રખ્યાત કોમેડિયન રાજુ શ્રીવાસ્તવને દવાઓની સાથે પ્રાર્થનાની પણ જરૂર છે
નવી દિલ્હી, તા.૧૧: પ્રખ્યાત કોમેડિયન રાજુ શ્રીવાસ્તવને દવાઓની સાથે પ્રાર્થનાની જરૂર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમને એન્જીયોપ્લાસ્ટી બાદ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. જિમમાં વર્કઆઉટ દરમિયાન તેમને છાતીમાં દુઃખાવો થયો અને તેઓ પડી ગયા બાદ ગઈકાલે તેમને AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. બાદમાં તેની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી.
દિલ્હીની એક હોટલમાં રોકાયેલ રાજુ શ્રીવાસ્તવ બુધવારે જીમમાં વર્કઆઉટ કરી રહ્યો હતો. ત્યારપછી તેની છાતીમાં ભારે દુખાવો થયો અને તે ટ્રેડમિલ પર પડી ગયો. રાજુને તાત્કાલિક એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં તેની કાર્ડિયોલોજી વિભાગમાં સારવાર ચાલી રહી છે.
ડોકટરોની ટીમ સતત તેની દેખરેખ રાખી રહી છે. સૂત્રોનું કહેવું છે કે રાજુની હાલત નાજુક છે અને તેને પ્રાર્થનાની સાથે દવાઓની પણ જરૂર છે. રાજુના હૃદયની ધમનીઓમાં અનેક બ્લોકેજ છે. જ્યારથી રાજુની બિમારીના સમાચાર સામે આવ્યા છે ત્યારથી તેના કરોડો ચાહકો નિરાશામાં છે અને બધા તેના સ્વાસ્થ્ય માટે -ાર્થના કરી રહ્યા છે.
ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ, કોમેડી સર્કસ, ધ કપિલ શર્મા શો, શક્તિમાન જેવા ટીવી શો ઉપરાંત રાજુ શ્રીવાસ્તવે ઘણી હિન્દી ફિલ્મોમાં પોતાના અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા છે. ૫૮ વર્ષીય રાજુ શ્રીવાસ્તવ પણ ભારતીય જનતા પાર્ટીના નેતા છે. ભાજપમાં જોડાતા પહેલા તેઓ સમાજવાદી પાર્ટીમાં પણ હતા.