ચીનમાં ક્રોસ કન્ટ્રી માઉન્ટેન મેરેથોનમાં ૨૧ જણાનાં મોત
હાડ થિજાવતી ઠંડીમાં ૧૦૦ કિમીની દોડ યોજાઈ હતી : મેરેથોન જિંગતાઈ કાઉન્ટીના યલો રિવર સ્ટોન ફોરેસ્ટ ટૂરિસ્ટ સાઈટમાં આયોજિત કરવામાં આવી હતી
બેઈજીંગ, તા.૧૨ : ચીનના ગાંસુ વિસ્તારમાં આયોજિત ક્રોસ-કન્ટ્રી માઉન્ટેન મેરેથોન દરમિયાન ૨૧ દોડવીરોનાં મૃત્યુ થયાં છે. હાડ થીજવતી ઠંડીમાં આયોજિત ૧૦૦ કિલોમીટરની આ દોડમાં સેંકડો લોકો શામેલ થયા હતા. આ મેરેથોન જિંગતાઈ કાઉન્ટીના યલો રિવર સ્ટોન ફોરેસ્ટ ટૂરિસ્ટ સાઈટમાં આયોજિત કરવામાં આવી હતી. આયોજકોને કદાચ અંદેશો નહોતો કે આ સ્પર્ધામાં ૨૧ લોકોનાં જીવ જતા રહેશે. કહેવામાં આવી રહ્યું છે કે હિમવર્ષા, ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે વાતાવરણ ખરાબ થઈ જતાં આ દોડવીરો ફસાઈ ગયા હતા.
ઉલ્લેખનીય છે કે ગાંસુ મેરેથોનનું આયોજન ૨૩ મેના રોજ કરવામાં આવ્યુ હતું. રાહત અને બચાવ કાર્ય સાથે જોડાયેલા લોકોએ જણાવ્યું કે તમામ મૃતક દોડવીરો અતિશય ઠંડીને કારણે હાઈપોથર્મિયાનો શિકાર બન્યા હતા. મૃતકોમાં મોટાભાગના દોડવીરો ચીનના નાગરિકો હતા. ચીનની સરકારી મીડિયા દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર, મૃતક દોડવીરોમાં લિઆંગ ઝિંગ અને હુઆંદ ગુઆનઝુનનું નામ પણ શામેલ છે. આ બન્ને ચીનના ટોપ ડોમેસ્ટિક મેરેથોન રનર છે.
ગાંસુ મેરેથોનની શરુઆત ૨૦૧૮માં કરવામાં આવી હતી. ચીનના એથલેટિક અસોસિએશન દ્વારા આ દોડને બ્રોન્ઝ મેડલ ઈવેન્ટ નામ આપવામાં આવ્યું છે.
આમાં મુખ્યત્વે ત્રણ શ્રેણીઓમાં દોડ થાય છે. પહેલી કેટેગરીમાં પાંચ કિલોમીટર, બીજી કેટેગરીમાં ૨૧ કિલોમીટર અને ત્રીજી કેટગરીમાં ૧૦૦ કિલોમીટરની દોડ થાય છે. ક્રોસ કન્ટ્રી મેરેથોનને ઘણી જોખમી માનવામાં આવે છે.આ દોડમાં શામેલ થવા માટે આ પહેલા આ કક્ષાની કોઈ હરિફાઈમાં ભાગ લીધો હોય તે જરુરી છે.
ચીનની આ આ મેરેથોનને દુનિયાની સૌથી કપરી ક્રોસ કન્ટ્રી દોડ માનવામાં આવે છે. અહીં દોડવીરોએ સમુદ્રની સપાટીથી ૨૦૦૦ મીટરથી ઉંચાઈ પર દોડવાનું હોય છે. આ દોડનો મોટા ભાગનો રસ્તો વેરાન છે. આ સિવાય કોઈ પણ દોડવીરે આ રેસ પૂરી કરવા માટે ૨૦ કલાકમાં લક્ષ્ય સુધી પહોંચવું જરુરી છે. ૧૦૦ કિલોમીટરની આ રેસ માટે ૯ ચેકપોઈન્ટ બનાવવામાં આવ્યા છે. આ દુર્ઘટના ચેકપોઈન્ટ નંબર ૨ અને ૩ દરમિયાન બની હતી.
ચીનની મીડિયા અનુસાર, આખી દોડમાં આ જ ભાગ સૌથી ખતરનકા હોય છે. અહીં રેતી અને ભેખડો વાળા રસ્તા પરથી પસાર થવાનું હોય છે. ખરાબ હવામાનને કારણે અહીંની પરિસ્થિતિ વધારે ખતરનાક બની ગઈ હતી. ઘણાં દોડવીરોએ દોડ છોડી દીધી તો ઘણાં એવા હતા જે વેરાન સ્થળ પર એકલા ફસાઈ ગયા. ભારે હવાને કારણે તેમના થર્મલ કંબલ ફાટી ગયા હતા. તેમના શરીરનું તાપમાન પણ ઘટી ગયુ હતું.
મીડિયા રિપોર્ટ અનુસાર, રેસ શરુ થતાં પહેલા સ્પર્ધકોને આયોજકોએ વાતાવરણની જાણકારી નહોતી આપી. તેમની કિટમાં થર્મલ કંબલ ઘણાં નાના હતા. આટલું જ નહીં, ટ્રેકની ખતરનાક સ્થિતિની જાણકારી હોવા છતાં ઈમર્જન્સીની સ્થિતિ માટે કોઈ વ્યવસ્થા કરવામાં નહોતી આવી. ૨૧ દોડવીરોના મૃત્યુ માટે લાપરવાહ અધિકારીઓને જવાબદાર માનવામાં આવે છે.