શિવસેનાની કંગનાને સીધી ધમકી
પાણીમાં રહીને મગરમચ્છ સાથે વેર કરવામાં ડહાપણ નથી હોં ને..
મુંબઇ, તા.૧૨: શિવસેનાના મુખપત્ર સામનામાં ફરી એકવાર કંગનાનું નામ લીધા વિના એને આડકતરી ધમકી આપવામાં આવી હતી કે પાણીમાં રહીને મગરમચ્છ સાથે વેર કરવામાં ડહાપણ નથી હોં ને..
વિવાદ માફિયાઓને પેટમાં પીડા શીર્ષક હેઠળ લખાયેલા સંપાદકીયમાં કંગના પર કટાક્ષ કરાયો હતો. મુંબઇને પાક કબજા હેઠળના કશ્મીર તરીકે ઓળખાવનારી કંગનાનું નામ સુદ્ઘાં લીધા વિના સંપાદકીયમાં ઇશારો કરાયો હતો કે પાણીમાં રહેવું અને મગરમચ્છ સાથે વેર કરવું એ ડહાપણભર્યું નથી. કાચના દ્યરમાં રહેતા હોય એવા લોકોએ બીજાના દ્યર પર પથ્થર ફેંકવા નહીં જોઇએ. જેમણે પથ્થર ફેંકયા એવા લોકોને મુંબઇ અને મહારાષ્ટ્રનો શાપ લાગ્યો હતો.
મુંબઇને ઓછું આંકવું એ પોતાને પડવા માટે ખાડો ખોદવા જેવું હતું. મહારાષ્ટ્ર સંતો અને ક્રાન્તિકારીઓની ભૂમિ હતી. હિંદવી સ્વરાજય માટે, દેશની સ્વતંત્રતા માટે અને મહારાષ્ટ્રની સ્થાપના માટે મુંબઇએ માતબર ફાળો આપ્યો હતો. આ બધાં કાર્યો સિદ્ઘ કરવા માટે ભૂમિપુત્રોએ પોતાનો ખૂન પરસેવો રેડ્યો હતો એ હકીકત ભૂલાવી ન જોઇએ.
મુંબઇને પાક કબજા હેઠળનું કશ્મીર કહેનારને એ વિવાદ મુબારક. દેશની અખંડિતતા અને રાષ્ટ્રીય એકતાની વાતો દરેક વખતે મુંબઇમાં જ કેમ છેડવામાં આવે છે. આવી વાતો અન્ચ રાજયોમાં કેમ કદી કરવામાં આવતી નથી એવો સવાલ પણ આ સંપાદકીયમાં કરવામાં આવ્યો હતો.