રાયપુરની હોસ્પિટલમાં કોરોનાથી મોત થનાર દર્દીની લાશના ઢગલાં
કોરોનાએ અનેક રાજ્યોમાં વિકરાળ રૂપ ધારણ કર્યું : ડો. આંબેડકર હોસ્પિ.માં મૃતદેહો રાખવાની જગ્યા ખુટી
રાયપુર, તા. ૧૩ : કોરોનાએ બીજા રાજ્યોમાં પણ વિકરાળ સ્વરુપ ધારણ કર્યુ છે. રોજ દેશમાં કોરોનાના નવા દોઢ લાખ દર્દીઓ સામે આવી રહ્યા છે ત્યારે મૃતકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે.
છત્તીસગઢના રાજધાની રાયપુરની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં તો કાચા પોચા વ્યક્તિનુ હૃદય બેસી જાય તેવી સથિતિ છે.અહીંયા મૃતકોની સંખ્યામાં એ હદે વધારો થયો છે કે, ડો.ભીમરાવ આંબેડકર હોસ્પિટલમાં હાલમાં કોરોનાથી મૃત્યુ પામેલાઓની લાશોનો ઢગલો લાગી ગયો છે. હાલમાં અહીંયા મૃતદેહો રાખવાની જગ્યા પણ ખુટી પડી છે. જેના પગલે હોસ્પિટલના સ્ટ્રેચરથી લઈને ફર્શ પર નજર નાંખે ત્યાં લાશોના ઢગલા જોવા મળી રહ્યા છે. અહીંયા મરનારાઓની સંખ્યાનો અંદાજો એ વાતથી પણ લગાવી શકાય છે કે, હોસ્પિટલમાં ફ્રિઝ ફુલ છે અને હવે જ્યાં જગ્યા દેખાત ત્યાં લાશો મુકવી પડી છે. હોસ્પિટલના અધિકારીએ કહ્યુ હતુ કે, અમારા આઈસીયુ અને ઓક્સિજનના બેડ પહેલેથી જ ભરાઈ ચુક્યા છે. અમે વિચાર્યુ પણ નહોતુ કે એક જ વખતમાં આટલા મોત થશે.કોરોનાની નવી લહેર સમજની બહાર છે. સંખ્યાબંધ એવા કિસ્સા સામે આવી રહ્યા છે જેમાં દર્દીઓમાં લક્ષણ દેખાતા નથી અને તેમની તબિયત ઝડપથી બગડી જાય છે અને બાદમાં તેમનુ મૃત્યુ થાય છે.