મુખ્ય સમાચાર
News of Friday, 14th May 2021

ચેતી જજો...કોરોના દર્દીઓને સાયલન્ટ મોડમાં ભરખી રહ્યો છે હેપ્પી હાઇપોકિસયા, જાણો શું છે તેનાં લક્ષણો

હેપ્પી-હાઇપોકિસયામાં દર્દીમાં કોઇ જ લક્ષણ નથી દેખાતા અને અચાનક જ ઓકિસજનનું લેવલ ઓછું થઇ જાય છે

નવી દિલ્હી,તા. ૧૪: ગયા વર્ષે માર્ચ મહીનામાં ઇન્ડોનેશિયાની હોસ્પિટલમાં તાવ અને ઉધરસના લક્ષણ સાથે એક કોરોના દર્દી આવ્યો હતો. દર્દી બિલકુલ સ્વસ્થ હતો અને તે આરામથી ચાલી રહ્યો હતો, લોકો સાથે તે વાતચીત પણ કરી રહ્યો હતો અને મોબાઇલમાં કંઇક જોઇ રહ્યો હતો. સાથે તેનું બ્લડપ્રેશર, પલ્સ અને બોડી ટેમ્પરેચર પણ બિલકુલ સામાન્ય હતું. કુલ મિલાવીને જો વાત કરીએ તો તે દર્દીને કંઇ ખાસ તકલીફ ન હોતી પરંતુ જયારે ડોકટરે ચેક કર્યું તો તેનું ઓકિસજન લેવલ ૭૭ હતું.

સામાન્ય દર્દીનું ઓકિસજન લેવલ આટલું ઓછું જોઇને તો ડોકટર પણ ગભરાઇ ગયા હતાં. દર્દીની આવી સ્થિતિને 'હેપ્પી-હાઇપોકિસયા'કહે છે. કોરોનાના દર્દીમાં હેપ્પી-હાઇપોકિસયાનો આ પ્રથમ કેસ હતો. જેમાં દર્દીને ખુદ ખ્યાલ ન હોતો કે, તેનું ઓકિસજન લેવલ ઓછું થઇ ગયું છે.

હેપ્પી-હાઇપોકિસયામાં દર્દીમાં કોઇ જ લક્ષણ નથી દેખાતા અને અચાનક જ ઓકિસજનનું લેવલ ઓછું થઇ જાય છે. ભારતમાં હેપ્પી-હાઇપોકિસયાનો આ પ્રથમ કેસ ગયા વર્ષે જુલાઇ મહીનામાં આવ્યો હતો પરંતુ કોરોનાની બીજી લહેરમાં આ પ્રકારના કેસ અચાનક જ વધી ગયા છે.

હેપ્પી-હાઇપોકિસયામાં ઓકિસજનનું લેવલ સામાન્યથી ઓછું થવા લાગે છે. એક હેલ્ધી વ્યકિતનું ઓકિસજન સામાન્ય રીતે ૯૪ ટકાથી ઉપર રહે છે. ઓકિસમીટરના આધારે આને સરળતાથી માપી શકાય છે. ઓકિસજનનું ઓછું લેવલ થવાની અસર હૃદય, ફેફસાં, મગજ અને કિડની સહિત અન્ય અંગો પર પણ પડવા લાગે છે.

હેપ્પી-હાઇપોકિસયા ત્યારે થાય છે કે, જયારે ફેફસાંની ઓકિસજન લેવાની તેમજ તેને નસોના આધારે શરીરના અન્ય અંગોમાં મોકલવાની ક્ષમતા ઓછી થવા લાગે છે. તે ત્યારે પણ થઇ શકે છે કે જયારે કેટલાંક બ્લોકેજના કારણે રકતવાહિનીઓ શરીરમાં સંપૂર્ણ રીતે લોહી નથી પહોંચાડી શકતી.

કોરોના વાયરસ મુખ્ય રૂપે ફેફસાં, લોહીની નસો અને શ્વસન પ્રણાલી પર અસર કરે છે. સંક્રમણના કારણે ફેફસાં બરાબર કામ નથી કરી શકતા અને તેના કારણે રકતવાહિનીઓમાં સોજા આવી જાય છે. નસોમાં સોજાના કારણે ગઠ્ઠાં થઇ જાય છે અને બ્લડ ફ્લોમાં અડચણ આવી જાય છે. તેના કારણે માથાનો દુઃખાવો અને શ્વાસ લેવામાં પણ સમસ્યા સર્જાય છે.

જો કે કોરોનાના દર્દીઓમાં હેપ્પી-હાઇપોકિસયાના શરૂઆતના લક્ષણો નથી દેખાતા અને તે ખૂબ જ આગળ જઇને તેના વિશે ખ્યાલ આવે છે. ડોકટર્સ કોરોનાના દર્દીઓમાં આ સ્થિતિને ખૂબ જ ગંભીર માની રહ્યાં છે. બિહારમાં ભાગલપુરના જવાહરલાલ નહેરૂ મેડિકલ કોલેજના મેડિસિન વિભાગમાં એસોસિએટ પ્રોફેસર ડોકટર રાજકમલ ચૌધરી કહે છે, હોસ્પિટલમાં ભરતી થનારા કોવિડ-૧૯ દર્દીઓમાંથી ૩૦ ટકા લોકોમાં હેપ્પી-હાઇપોકિસયા હોય છે.

આવી સ્થિતિમાં, ઓકિસજન લેવલની તપાસ કરવામાં મદદ મળી શકે છે. ડોકટરો કોવિડ-૧૯ દર્દીઓને ઓકિસમીટર દ્વારા નિયમિતપણે તેમના ઓકિસજનનું સ્તર તપાસવા માટે સલાહ આપી રહ્યાં છે. જો તે ૯૦% ની નીચે આવે તો તેમાં તુરંત જ ઓકિસજનની જરૂર પડે છે. ઓકિસજનના અભાવને કારણે, તેની અસર બાકીના અવયવો પર પણ પડવા લાગે છે.

જો તમારૃં ઓકિસજન લેવલ ૯૪% કરતા ઓછું હોય તો તુરંત જ ડોકટરનો સંપર્ક કરો. હોમ આઇસોલેશનમાં રહેતા દર્દીઓને તાત્કાલિક રાહત માટે ડોકટર પ્રોનિંગ કરવાની સલાહ આપી શકે છે. જો ઓકિસજનનું સ્તર ૯૦% કરતા ઓછું હોય, તો દર્દીને વેન્ટિલેટર સપોર્ટની જરૂર હોય છે અને દર્દીને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવાની સલાહ આપવામાં આવે છે.

(10:07 am IST)