વિપ્લબ દેવના રાજીનામા બાદ ત્રિપુરાના નવામુખ્યમંત્રી તરીકે માણિક સાહાની પસંદગી કરાઈ
માણિક સાહા 2016માં કોંગ્રેસ છોડીને ભાજપમાં થયા હતા સામેલ : હવે વિપ્લબ દેવ બની શકે છે પ્રદેશાધ્યક્ષ
નવી દિલ્હી : વિધાનસભા ચૂંટણીના એક વર્ષ પહેલા ત્રિપુરામાં રાજકીય ઉથલપાથલ મચી છે. બિપ્લવ દેબેના રાજીનામા બાદ ભાજપે માણિક સાહાને મુખ્યમંત્રી બનાવ્યાં છે. સવારમાં મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપનાર બિપ્લવ દેબે નવા મુખ્યમંત્રીને અભિનંદન આપ્યાં છે.
ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લવ દેબે શનિવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્યને રાજીનામું સોંપી દીધું છે. તેઓ શુક્રવારે ગૃહમંત્રી અમિતભાઈ શાહને મળ્યા હતા, ત્યારબાદ તેમણે પદ છોડ્યું હતું. સાથે જ સાંજે ત્રિપુરાના નવા સીએમનો ચહેરો પણ નક્કી થઇ ગયો છે. ડો.માણિક સાહા આગામી મુખ્યમંત્રી હશે. સાથે જ માહિતી આવી રહી છે કે બિપ્લવ દેબને પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે. ત્રિપુરામાં કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેને નિરીક્ષક બનાવવામાં આવ્યા છે.
માણિક સાહા મૂળ કોંગ્રેસના છે અને 2016માં તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા હતા
2020માં માણિક સાહા ત્રિપુરા ભાજપના અધ્યક્ષ બન્યા હતા.
ત્રિપુરામાં 2021માં યોજાયેલા 30 નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની જીતનો તમામ જશ માણિક સાહાને આપવામાં આવ્યો હતો