મુખ્ય સમાચાર
News of Saturday, 14th May 2022

નવી દિલ્હી બિલ્ડિંગમાં લાગેલી આગમાં હજુ ૨૯ લોકો ગુમ

દિલ્હીના મુંડકા મેટ્રો સ્ટેશન નજીકની બિલ્ડિંગમાં આગ : લોકો પોતાના પરિવારજનોની શોધખોળ માટે ભટકે છે

નવી દિલ્હી, તા.૧૪ : શુક્રવારે સાંજના સમયે મુંડકા મેટ્રો સ્ટેશન પાસે આવેલી ત્રણ માળની કોમર્શિયલ બિલ્ડિંગમાં સાંજના સમયે વિકરાળ આગ ફાટી નીકળી હતી. ઘટનાસ્થળ પર રાહત અને બચાવની કામગીરી ચાલી રહી છે. આગમાં ૨૭ લોકોના મોત થઈ ચૂક્યા છે અને હજી પણ ૨૯ લોકો ગુમ થયા હોવાની ખબર છે. ગુમ થયેલા લોકોમાં ૨૫ મહિલાઓ અને ૪ પુરુષ સામેલ છે. દુર્ઘટના બાદ લોકો પોતાના પરિવારજનોની શોધખોળ માટે અહીંયા-ત્યાં ભટકી રહ્યા છે. સ્વજન ગુમાવનારા પરિવારજનોની આંખમાંથી આંસુ સુકાઈ રહ્યા નથી. તેઓ સત્તાધીશોને પોતાના પરિવારજન વિશેની જાણકારી આપવા માટેની વિનંતી કરી રહ્યા છે. એક મહિલાએ જણાવ્યું કે, તેમની કંપની દોઢ વર્ષથી કંપનીમાં નોકરી કરતી હતી. આગ લાગ્યા બાદ તેમની દીકરીનો ફેમ આવ્યો હતો અને તે રડી-રડીને કહી રહી હતી કે 'મને બચાવી લો', ત્યારબાદ ૫ વાગ્યે તેનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો. દીકરી વિશે હજી સુધી કોઈ ભાળ ન મેળવનારી આ માના ખરાબ હાલ થઈ ગયા હતા. તેઓ વારંવાર કહી રહ્યા હતા કે, 'મારી દીકરી ક્યાં જતી રહી?'.

વિજય નામના એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, 'મારી પત્ની ગાયબ છે. તે ત્યાં સેલ્સ મેનેજર તરીકે કામ કરતી હતી. કાલે સાંજે ૪.૧૦ કલાકે છેલ્લે મેં તેની સાથે વાત કરી હતી. મેં તેને ફરીથી ફોન કર્યો હતો, ફોનમાં રિંગ જઈ રહી હતી પરંતુ કોઈ રિસીવ કરી રહ્યું નહોતું'.

તો અંજુ નામના મહિલાએ તેમની ભત્રીજી ગુમ થઈ હોવાનું કહ્યું હતું. તે છેલ્લા ત્રણ વર્ષથી ત્યાં નોકરી કરતી હતી. બિહારના સહરસામાં રહેતા મનોજ ઠાકુરે જણાવ્યું કે, તેઓ તેમની પત્ની સોનીને શોધવાનો પ્રયાસ કરી રહ્યો છે, જે આગ લાગી ત્યારે બિલ્ડિંગમાં હાજર હતી. તેમણે કહ્યું હતું કે, તેમની પત્નીએ જ ફોન

કરીને તેમને આગ વિશે જણાવ્યું હતું, પરંતુ બાદમાં તેનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો. તેઓ તેને શોધી રહ્યો છે.

દુર્ઘટના બાદ સોનમ અને તેની મમ્મી સુનીતા રડી-રડીને અડધા થઈ ગયા છે. ઘટના બાદ મોટી દીકરી મળી રહી નથી. તેમની ૨૦ વર્ષની દીકરી એક વર્ષથી ત્યાં કામ કરી રહી હતી. સુનીતા માત્ર એક જ સવાલ પૂછી રહી છે કે, 'મારી દીકરી ક્યાં છે?' સુનીતાએ જણાવ્યું હતું કે, 'તે રાતના ૧૨-૧ વાગ્યા સુધી ત્યાં હતી પરંતુ દીકરી વિશે માહિતી મળી નથી. હું ૪-૫ હોસ્પિટલમાં શોધી આવી પણ દીકરી ક્યાંય ન મળી'.

એક અન્ય મહિલાએ જણાવ્યું હતું કે, તેમની ભાણેજ યશોદા કંપનીમાં ચાર વર્ષથી નોકરી કરી રહી હતી. ઘટના બાદ તેની કોઈ જાણકારી મળી રહી નથી. તેમના પરિવારજનો એમ્સ, સફદરજંગ, રામ મનોહર લોહિયાથી લઈને આંબેડકર સહિતની હોસ્પિટલોમાં જઈ ચૂક્યા છે. તેમ જતાં કોઈ માહિતી મળી નથી. ગુમ થયેલી છોકરીના મામાએ કહ્યું કે, તેમને તો હોસ્પિટલમાં ઘૂસવા પણ નથી દેતા. હોસ્પિટલના સત્તાધીશો કોઈ પણ જાણકારી આપવાનો ઈનકાર કરી રહ્યા છે.

ઘટના બાદ બહેનને શોધી રહેલી મહિલાએ કહ્યું હતું કે, તેને સાંજે ૪ વાગ્યે ફોન પર કંપનીમાં આગ લાગવાની સૂચના મળી હતી. ત્યારબાદ તેના પરિવારના લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. મહિલાએ કહ્યું હતું કે, 'અમે રાતથી તેને શોધી રહ્યા છીએ પરંતુ હજી સુધી કોઈ પત્તો નથી.

એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળ પર હાજર છે. લોકોના મૃતદેહ મળી રહ્યા છે. ૨૭ લોકોની લાશ મળી છે જ્યારે ૨૯ લાખ લાપતા છે. સંજય ગાંધી મેમોરિયલ હોસ્પિટલમાં શુક્રવારે બળી ગયેલા લોકોને શિફ્ટ કરવામાં આવ્યા હતા. ઘટના બાદ ૧૪ લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમાંથી ૧૩ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

(7:58 pm IST)