દક્ષિણ આફ્રિકા સામે પાંચ ટી-20માં હાર્દિક પંડ્યાને સુકાન સોંપાશે ?!: રોહિત વિરાટને અપાશે આરામ
ઘણા સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવે તેવી શક્યતા
મુંબઈ : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) 2022ની સમાપ્તિ બાદ ભારત દક્ષિણ આફ્રિકા સામે પાંચ મેચની ટી-20 શ્રેણી રમવાની છે. આ સિરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત ટૂંક સમયમાં જ કરવામાં આવશે, જેમાં ઘણા સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવે તેવી શક્યતા છે. આ સિરીઝમાં સુકાની રોહિત શર્મા, વાઇસ કેપ્ટન કેએલ રાહુલ, વિરાટ કોહલીને આરામ આપવામાં આવશે.
મીડિયા રિપોર્ટ અનુસાર દક્ષિણ આફ્રિકા સામે આગામી ટી-20 શ્રેણીમાં શિખર ધવન કે હાર્દિક પંડ્યામાંથી કોઈ એક ભારતની કમાન સંભાળી શકે છે. આ વખતની આઈપીએલમાં હાર્દિકનું ફોર્મ એકદમ અલગ છે અને તે ધમાકેદાર ઈનિંગ રમી રહ્યો છે એટલે બીસીસીઆઈ તેને ટીમ ઈન્ડીયાની કમાન સોંપી શકે છે.
બીસીસીઆઇના એક સૂત્રએ પીટીઆઇને જણાવ્યું હતું કે, તમામ સિનિયર ખેલાડીઓને ત્રણ-ચાર સપ્તાહનો આરામ આપવામાં આવશે, જેથી તેઓ સીધા જ ઈંગ્લેન્ડ પ્રવાસમાં જોડાઈ શકે. રોહિત, વિરાટ, કેએલ, ઋષભ, બુમરાહ સીધા ઇંગ્લેન્ડમાં ટીમ સાથે જોડાશે. કેપ્ટનશિપ માટે સિલેક્ટર્સ સામે બે મોટી ચોઇસ છે, શિખર ધવન, જે અગાઉ પણ કમાન સંભાળી ચૂક્યો છે અને હાર્દિક પંડ્યાએ ગુજરાત ટાઇટન્સ માટે પોતાની કેપ્ટનશિપથી બધાને પ્રભાવિત કર્યા છે
ટી-20 સિરીઝ માટે ટીમની પસંદગી 22 મેના રોજ થઈ શકે છે, આ દિવસે આઈપીએલની લીગ મેચો ખતમ થઈ રહી છે. આવી સ્થિતિમાં કેપ્ટન રોહિત શર્મા પણ મુક્ત થશે, અહીં પસંદગીકારો ટીમની પસંદગી કરશે.
જ્યારે મોહસિન ખાનને આ સિરીઝ માટે ટીમ ઇન્ડિયામાં સામેલ કરવામાં આવી શકે છે. ઉમરાન મલિક પર પસંદગીકારોની નજર પણ છે.