મુખ્ય સમાચાર
News of Wednesday, 14th July 2021

યુએસમાં હજારો પક્ષીઓનાં રહસ્યમય બિમારીથી મોત

યુએસમાં પક્ષીઓમાં બિમારીથી ચિંતાનું મોજું : વન્યજીવ વૈજ્ઞાનિકો પણ પક્ષીઓની આ બીમારીનું કારણ શોધી રહ્યા છે, કેટલાંક પક્ષીઓના ચહેરા પર સોજો આવ્યો

વૉશિંગ્ટન, તા. ૧૩ : અમેરિકાના પૂર્વ, દક્ષિણ વિસ્તારોમાં હજારોની સંખ્યામાં નીલકંઠ જેવા પક્ષીઓ રહસ્યમય બીમારીથી મરી રહ્યા છે. હવે વન્યજીવ વૈજ્ઞાનિકો પણ પક્ષીઓની આ બીમારીનું કારણ શોધી રહ્યા છે. હવે સ્થિતિ કંઈક એવી થઈ છે કે પક્ષીઓની આંખ પર તેની અસર જોવા મળી રહી છે. કેટલાંક પક્ષીઓના ચહેરા પર સોજો આવી ગયો છે તો કેટલાંક પક્ષી ઉડી નથી શકતા.

વન્યજીવ અધિકારીઓને સૌપ્રથમ મે મહિનામાં અમેરિકાના વોશિંગ્ટન, વર્જિનિયા, મેરીલેન્ડ અને પશ્ચિમી વર્જિનિયાથી પક્ષીઓ બીમાર થવાની અને મરી રહ્યા હોવાની સૂચના મળી હતી. યુએસજીએસના જણાવ્યા મુજબ, અત્યાર સુધી પક્ષીઓ મરી રહ્યા હોવા પાછળનું કોઈ ચોક્કસ કારણ મળ્યું નથી.

જીવ વિજ્ઞાનીઓને આશંકા છે કે હજારોની સંખ્યામાં પક્ષીઓ ન્યૂ મેક્સિકોમાં ખાવાનું નહીં મળવાના કારણે અત્યાર સુધીમાં મૃત્યુ પામ્યા છે. આ પક્ષી એકથી બીજી જગ્યાએ જઈ રહ્યા હતા.

જ્યારે બીજી બાજુ, વન્યજીવ વિભાગ લોકોને એવું પૂછી રહ્યો છે કે શું તેમણે બીમાર અથવા મૃત્યુ પામેલા પક્ષીઓને જોયા છે કે નહીં. ઘણાં પક્ષીઓના શબને તપાસ માટે મોકલવામાં આવ્યા છે.

ઓહિયોમાં પણ વન્યજીવ સેન્ટરે ફેસબુક પર માન્યું કે ઘણી પક્ષીઓની આંખમાં તકલીફ હતી. તેઓ પક્ષીઓની આ બીમારીનું કારણ જાણવાના પ્રયાસ કરી રહ્યા છે.

યુએસજીએસનું કહેવું છે કે પક્ષીઓ સાથે ભેગા થતાં આ બીમારી એકમાંથી બીજામાં ફેલાવાની શક્યતા છે. તેમણે લોકોને એવી પણ અપીલ કરી છે કે પક્ષીઓને અડશો નહી. અમેરિકાના સીડીસીએ ચેતવણી આપી હતી કે ઘણાં રાજ્યોમાં પક્ષીઓ સાથે જોડાયેલી બીમારીઓ ફેલાઈ છે. જેમાં ૮ લોકોના મોત થયા છે.

(12:00 am IST)