દેશના સાધુ-સંતોની ભાગીદારીથી હિંદુત્વના એજન્ડાને આગળ વધારશે સંઘ
પાંચ દિવસીય રાષ્ટ્રીય ચિંતન બેઠકના અંતિમ દિવસે સંઘની બેઠકમાં હિન્દુત્વ મુદ્દે ખાસ ચર્ચા
નવી દિલ્હી :રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેના હિન્દુત્વ એજન્ડાને આગળ વધારવા માટે દેશના સાધુ-સંતોની મદદ લેશે. સંઘનું માનવું છે કે અયોધ્યામાં મંદિર નિર્માણ આંદોલનમાં સંતોની વિશેષ ભૂમિકા હતી. હવે એ જ તર્જ પર સંતોના નેતૃત્વમાં હિન્દુત્વના એજન્ડાને વધુ તીવ્ર બનાવવામાં આવશે.
પાંચ દિવસીય રાષ્ટ્રીય ચિંતન બેઠકના અંતિમ દિવસે મંગળવારે આરએસએસની બેઠકમાં હિન્દુત્વ મુદ્દે ખાસ ચર્ચા થઈ હતી. સંઘના નેતૃત્વએ નિર્ણય કર્યો કે સાધુ-સંતોને આગળ લાવીને વિશ્વ હિન્દુ પરિષદ અને સંઘની અન્ય સંલગ્ન સંસ્થાઓના લોકોને જવાબદારી સોંપવામાં આવશે.
સંઘના વડા ડો.મોહન ભાગવતે કહ્યું કે કુંભ જેવા અન્ય ધાર્મિક કાર્યક્રમોમાં સાધુ-સંતોની ભાગીદારીથી હિન્દુત્વના એજન્ડાને આગળ વધારવામાં આવશે. તેમણે કહ્યું કે અયોધ્યામાં અને મથુરામાં જન્માષ્ટમીના દિવસે દિપાવલીનો ઉત્સવ યોજવાનું ઉત્તર પ્રદેશ સરકાર માટે પ્રશંસાકારક છે.
સંઘના વડાએ ચિત્રકૂટમાં અમાવસ્ય મેળો અને દીપાવલીમાં દીપદાન મેળામાં પણ ભવ્યતા આપવા પર પણ ભાર મૂક્યો હતો. આ સાથે તેમણે દેશના અન્ય ધાર્મિક કાર્યક્રમોને ભવ્ય બનાવવાની હિમાયત કરી. તેમણે ગામમાં રામલીલા અને અન્ય ધાર્મિક કાર્યક્રમો ચાલુ રાખવા માટે સૌને સાથે મળીને પ્રયત્નો કરવાની સલાહ આપી.