પ્રશાંત કિશોર કોંગ્રેસ પાર્ટીમાં જોડાય તેવા સ્પષ્ટ અણસાર
સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા વાડ્રા સાથેની બેઠક બાદ સંકેત : ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની રણનીતિ તૈયાર કરવામાં પ્રશાંતની ભૂમિકા મહત્વની રહેવાની શક્યતા
નવી દિલ્હી, તા.૧૪ : રાજકીય પાર્ટીઓ માટે ચૂંટણીની રણનીતિ તૈયાર કરીને ચર્ચામાં આવેલા પ્રશાંત કિશોર કોંગ્રેસમાં સામેલ થઈ શકે છે. મીડિયા રિપોર્ટોમાં આ બાબત પર ઈશારો કરવામાં આવી રહ્યો છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, આ મુદ્દે પ્રશાંત કિશોર કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી તેમજ પ્રિયંકા ગાંધી સાથે ચર્ચા કરી ચુકયા છે.
એક ન્યૂઝ ચેનલના અહેવાલ પ્રમાણે રાહુલ ગાંધીના ઘરે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા વાડ્રાની મંગળવારે પ્રશાંત કિશોર સાથે બેઠક યોજાઈ હતી.જેમાં આ બેઠક પંજાબ કે યુપી ચૂંટણીની રણનીતિ માટે નહીં પણ અન્ય કોઈ બાબત માટે હતી અને હવે એવા સંકેત મળી રહ્યા છે કે, ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની રણનીતિ તૈયાર કરવામાં પ્રશાંત કિશોરની ભૂમિકા મહત્વની રહેશે.
ગાંધી પરિવાર અને પ્રશાંત કિશોર વચ્ચે લગભગ દોઢ કલાક સુધી બેઠક ચાલી હતી.આ અંગે કોંગ્રેસ તરફથી સત્તાવાર રીતે કોઈ નિવેદન આપવામાં આવ્યુ નથી પણ આ મુલાકાતનેુ મહત્વ એટલા માટે પણ છે કે, તાજેતરમાં પ્રશાંત કિશોર સાથે શરદ પવારે મુલાકાત કરી હતી અને એ પછી હવે ગાંધી પરિવારે તેમની સાથે બેઠક યોજી છે.