કાશ્મીરમાં ત્રીજી લહેરના દસ્તક
૨૨ રેડ ઝોન જાહેર, ગલીઓમાં પાઈપો લગાવીને પ્રવેશ કરાયો બંધ
જમ્મુઃ. કાશ્મીરના ડોકટરો અનુસાર, કાશ્મીરમાં વધી રહેલા કોરોના કેસ ત્રીજી લહેરના સંકેત છે. પ્રશાસન પણ તેને ત્રીજી લહેરના દસ્તક માનીને કોરોના પ્રતિબંધો લાગુ કરી રહ્યુ છે. આ પ્રતિબંધો હેઠળ ફકત શ્રીનગરના જ ૨૨ વિસ્તારોને રેડ ઝોન જાહેર કરી દેવાયા છે અને આ મહોલ્લાઓના લોકોની અવરજવર પર પ્રતિબંધ મુકાયો છે.
શ્રીનગરના એસડીએમ ઓઈસ અહમદ અનુસાર, શ્રીનગર જીલ્લાના લગભગ ૮૮ ઝોનમાંથી ૨૨માં કેસો ઝડપથી વધી રહ્યા છે. તેમણે સ્વીકાર્યુ કે આ વિસ્તારોને રેડ ઝોન ગણીને બેરીકેડસ લગાવી દેવાયા છે. જો કે તેમણે એમ પણ કહ્યું કે લોકો દ્વારા બેદરકારીના કારણે જ કોરોના કેસોમાં ફરીથી વધારો થઈ રહ્યો છે.
કાશ્મીરના અન્ય વિસ્તારોમાં પણ કોરોનાના કેસ વધવા લાગ્યા છે. જમ્મુ પણ હવે કોરોનાની ત્રીજી લહેરના દસ્તકથી ડરવા લાગ્યુ છે, પણ બેદરકારીમાં તે કાશ્મીરની સાથે તાલમિલાવી રહ્યુ છે. જમ્મુની બજારોમાં ભીડ અને માસ્ક વગર ફરતા લોકો વિરૂદ્ધ એફઆઈઆર નોંધવામાં આવે છે તેમ છતા લોકો બેદરકારી દાખવી રહ્યા છે.