મુખ્ય સમાચાર
News of Thursday, 14th October 2021

વાયુસેનાની તાકાત વધશેઃ ફ્રાન્સથી ભારત આવતા વધુ ત્રણ ફાઈટર જેટ રાફેલ આજે જામનગરમાં ઉતરશે

ફ્રાન્સથી આવતા વિમાનોને અંબાલામાં ગોલ્ડન એરો સ્કવોડ્રોન અને પશ્ચિમ બંગાળના હાશિમારામાં ૧૦૧ સ્કવોડ્રોન વચ્ચે વહેંચવામાં આવશે

નવી દિલ્હી, તા.૧૪: ચીન સાથે ચાલી રહેલા લશ્કરી વિવાદ વચ્ચે ભારતીય વાયુસેના (IAF)ને વધુ તાકાત મળશે. ફ્રાન્સથી ભારત આવી રહેલા વધુ ત્રણ રાફેલ લડાકુ વિમાનો બુધવારે એટલે કે આજે ગુજરાતના જામનગરમાં ઉતરશે. ત્રણ નવા ફાઇટર જેટ ૬૦,૦૦૦ કરોડના સોદાના ભાગરૂપે ૨૦૧૬ માં ભારતે ઓર્ડર કરેલા કુલ ૩૬ માંથી ૨૯ રાફેલની સંખ્યામાં વધારો થશે.

સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે આ ત્રણ રાફેલ વિમાનો જામનગર એરપોર્ટ પર ઉતરશે. આ મહિનાની શરૂઆતમાં એર ચીફ માર્શલ વી.આર.ચૌધરીએ એર સ્ટાફના વડા તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ આ રાફેલ ફ્રાન્સથી પ્રથમવાર આવનાર છે. ફ્રાન્સથી આવતા વિમાનોને અંબાલામાં ગોલ્ડન એરો સ્કવોડ્રોન અને પશ્ચિમ બંગાળના હાશિમારામાં ૧૦૧ સ્કવોડ્રોન વચ્ચે વહેંચવામાં આવશે.

કેન્દ્રએ લગભગ ૫૮,૦૦૦ કરોડના ખર્ચે ૩૬ રાફેલ લડાકુ વિમાનોની ખરીદી માટે સપ્ટેમ્બર ૨૦૧૬ માં ફ્રાંસ સાથે આંતર-સરકારી કરાર કર્યો હતો. ગયા વર્ષે ૨૯ જુલાઇએ પાંચ રાફેલ વિમાનોનો પ્રથમ જથ્થો ભારત પહોચ્યો હતો.

આ ત્રણ રફેલ બાદ વધુ ત્રણ રાફેલ જેટ ડિસેમ્બરના પહેલા ભાગમાં ભારત પહોંચશે અને ૨૬ જાન્યુઆરી સુધીમાં તેને ઓપરેશનલ સ્કવોડ્રનમાં સામેલ કરવામાં આવશે. યોજના મુજબ, ૩૬માં છેલ્લા રાફેલમાં વિશેષ ઉપકરણોનો સમાવેશ થશે જે તેને વધુ દ્યાતક અને સક્ષમ બનાવશે.

ભારતીય વાયુસેનાની અંબાલા સ્થિત ગોલ્ડન એરો સ્કવોડ્રન જુલાઈ, ૨૦૨૦ અને જાન્યુઆરી, ૨૦૨૧ ની વચ્ચે ૧૧ રાફેલ ફાઇટર જેટ પહેલેથી જ સામેલ કરી ચૂકી છે. તેમને લદ્દાખ બોર્ડર પર તૈનાત કરવામાં આવ્યા છે. મે ૨૦૨૦ ની શરૂઆતથી, ચીન સાથે સરહદ વિવાદ બાદ સેના હાઈ એલર્ટ પર છે. ભારતમાં ફ્રાન્સના રાજદૂત ઇમેન્યુઅલ લેનિનએ કહ્યું હતું કે કોરોના હોવા છતાં તમામ ફાઇટર વિમાનો ૨૦૨૨ સુધીમાં નિયત સમયમાં ભારતને સોંપી દેવામાં આવશે.

(10:25 am IST)