કોરોનાથી રાહતઃ મેમાં પહેલીવાર સૌથી ઓછા કેસ
છેલ્લા ૨૪ કલાકમાં ૩.૨૬ લાખ નવા કેસઃ ૩૮૯૦ના મોત
નવી દિલ્હી, તા. ૧૫ :. કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખી રાજ્યો તરફથી લગાવવામાં આવેલા પ્રતિબંધોની અસર હવે જોવા મળી રહી છે અને કેસ તથા મૃત્યુઆંક ઘટી રહ્યા છે. દેશમાં કોરોનાની બીજી લહેર હવે થોડી હળવી પડી હોય તેવુ જણાય છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૨૬૦૯૮ નવા કેસ સામે આવ્યા છે જે મે મહિનાના સૌથી ઓછા આંકડા છે. તો છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી મરનારની સંખ્યા ૩૮૯૦ થઈ છે. આ પહેલા ૧૦મી મે એ ૩.૨૯ લાખ નવા કેસ સામે આવ્યા હતા. મંત્રાલયના જણાવ્યા પ્રમાણે કુલ સંક્રમિતોની સંખ્યા ૨ કરોડ ૪૩ લાખ ૭૨ હજાર ૨૪૩ની થઈ છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં થયેલા મોત બાદ કુલ મૃત્યુઆંક ૨ લાખ ૬૬ હજાર ૨૨૯ થયા છે. દેશમાં અત્યાર સુધીમાં ૩૬ લાખ ૭૩ હજાર ૮૦૨ લોકો સાજા થયા છે. દેશમાં કોરોનાથી સૌથી વધુ મહારાષ્ટ્રમાં અસર છે, ત્યાં ૩૯૯૨૩ નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન ૬૯૫ના મોત થયા છે. દેશમા અત્યાર સુધીમાં ૩૧ કરોડથી વધુ લોકોનુ ટેસ્ટીંગ થયુ છે. ૧૦ રાજ્યોમાં મોતની ટકાવારી ૭૨.૭૦ ટકા છે. અત્યાર સુધીમાં ૧૮ કરોડ લોકોને રસી અપાય છે.