જમ્મુ-કાશ્મીરમાં જમાતની ૩૦૦ શાળાઓને ૧૫ દિવસમાં બંધ કરવાનો આદેશ
નવા સત્રથી કોઇ પ્રવેશ નહી, હાલના વિદ્યાર્થીઓને પ્રવર્તમાન શાળામાં સમાવવામાં આવશે : SIA તપાસ બાદ શાળા શિક્ષણ વિભાગે આદેશ જારી કર્યો : FATએ ગેરકાયદે કબ્જે કરેલી જમીન પર શાળાઓ બનાવી છે
જમ્મુ તા. ૧૫ : સરકારે જમ્મુ-કાશ્મીરમાં પ્રતિબંધિત જમાત-એ-ઇસ્લામી સંલગ્ન ફલાહ-એ-આમ (FAT) દ્વારા સંચાલિત તમામ શાળાઓને બંધ કરવાનો આદેશ જારી કર્યો છે. આ તમામ શાળાઓને ૧૫ દિવસમાં સીલ કરવામાં આવશે. આમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નજીકની શાળાઓમાં બેસાડવામાં આવશે. નવા સત્રમાં આ શાળાઓમાં કોઈ પ્રવેશ થશે નહીં.
રાજય તપાસ એજન્સી (SIA)ની તપાસ બાદ, શાળા શિક્ષણ વિભાગના અગ્ર સચિવ બીકે સિંહ દ્વારા જારી કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, જિલ્લા વહીવટીતંત્ર સાથે ચર્ચા કરીને આ શાળાઓને સીલ કરવામાં આવે. તેમણે તમામ મુખ્ય શિક્ષણ અધિકારીઓ, આચાર્યો અને ઝોનલ અધિકારીઓને આ વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયામાં શક્ય તમામ મદદ કરવા જણાવ્યું છે. આ શાળાઓ વિશે મોટા પાયે જાગૃતિ ફેલાવવા માટે કહેવામાં આવ્યું છે.
નોંધનીય છે કે SIAની તપાસમાં FAT દ્વારા ગેરકાયદેસર કૃત્યો, છેતરપિંડી, મોટા પાયે સરકારી જમીન પર અતિક્રમણના આરોપો લાગ્યા હતા. FAT કટ્ટરપંથી જમાત-એ-ઈસ્લામી સાથે જોડાયેલું છે, જેને ગૃહ મંત્રાલય દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમની જોગવાઈઓ હેઠળ પ્રતિબંધિત કરવામાં આવ્યો છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે મોટાભાગના FAT શાળાઓ, મદરેસાઓ, અનાથાશ્રમો, મસ્જિદો અને અન્ય સખાવતી કાર્યોથી કામ કરે છે. આવી સંસ્થાઓએ ૨૦૦૮, ૨૦૧૦ અને ૨૦૧૬ માં મોટા પાયે અશાંતિ ફેલાવવામાં વિનાશક ભૂમિકા ભજવી હતી, જેના કારણે સામાન્ય લોકોને ભારે મુશ્કેલી પડી હતી.
અધિકારીઓએ કહ્યું કે આヘર્યજનક રીતે, FATની ૩૦૦ થી વધુ શાળાઓ ગેરકાયદેસર રીતે અધિગ્રહિત સરકારી અને સમુદાયની જમીન પર મળી આવી છે, જયાં બળ અને બંદૂક દ્વારા જમીન પર અતિક્રમણ કરવામાં આવ્યું હતું. તે જ સમયે, મહેસૂલ અધિકારીઓ સાથે મળીને છેતરપિંડી અને બનાવટી દ્વારા મહેસૂલી દસ્તાવેજોમાં ખોટી એન્ટિટી બનાવવામાં આવી હતી.
એસઆઈએ આવા મામલામાં એફઆઈઆર નોંધી ચૂકી છે. એજન્સી છેલ્લા ૩૦ વર્ષોમાં આતંકવાદીઓના ઈશારે આચરવામાં આવેલી તમામ છેતરપિંડી, અનધિકૃત સંસ્થાઓ અને બનાવટીને બહાર કાઢવા માટે તપાસનો વિસ્તાર વધારી રહી છે.