પૂર્વ પીએમ ઇન્દિરા ગાંધીનું જીવન બચાવી શકાયું હોત : પુસ્તકમાં દાવો - હત્યારો લંડનના ખાલિસ્તાનીઓને મળતો હતો
શ્રીમતી ઈન્દિરા ગાંધીની ૩૧ ઓક્ટોબર, ૧૯૮૪ ના રોજ તેમના અંગરક્ષકો દ્વારા તેમના સત્તાવાર નિવાસસ્થાને હત્યા કરવામાં આવી હતી : શીખ મૂળના લેખક અજીત સત ભાંભરા, જે હવે બ્રિટનમાં રહે છે, તેણે દાવો કર્યો છે કે હત્યારાઓમાંના એક બેઅંતસિંહનું લંડનમાં ખાલિસ્તાની નેતાઓ સાથે જોડાણ હતું
લંડન તા. ૧૫ : ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા વિશેના નવા પુસ્તકમાં એવો દાવો કરવામાં આવ્યો છે, જેના તાર બ્રિટન સાથે જોડાયેલા છે. આરોપ છે કે ઈન્દિરા ગાંધીની હત્યા કરનાર બેઅંતસિંહના સંબંધ લંડનના ખાલિસ્તાની નેતાઓ સાથે પણ હતા. હકીકતમાં, અત્યાર સુધી બ્રિટનમાં કોઈ શીખ અલગાવવાદી આ ષડયંત્રમાં સામેલ હોવાનું સાબિત થયું નથી.
ઈન્દિરા ગાંધીની ૩૧ ઓક્ટોબર ૧૯૮૪ ના રોજ તેમના અંગરક્ષકો દ્વારા તેમના સત્તાવાર નિવાસસ્થાને હત્યા કરવામાં આવી હતી. શીખ મૂળના લેખક અજીત સત ભાંભરા, જે હવે બ્રિટનમાં રહે છે, તેણે દાવો કર્યો છે કે હત્યારાઓમાંના એક બેઅંતસિંહનું લંડનમાં ખાલિસ્તાની નેતાઓ સાથે જોડાણ હતું.
ધ વીકનાં અહેવાલ મુજબ, ભાંભરાએ તેમના પુસ્તક સાયલન્ટ ઇકોઝમાં લખ્યું છે કે જયારે ઇન્દિરાજી ૧૯૮૩ માં લંડન ગયા હતા ત્યારે બેઅંતસિંહ તેમની સાથે અંગરક્ષક તરીકે ગયા હતા. તે એક મિત્ર સાથે તે જ હોટલમાં ગયો જયાં ઈન્દિરાજી કોઈ કામ માટે રોકાયા હતા, ત્યારે બેઅંતસિંહે પણ તેમની સાથે કારમાં લિફટ લીધી હતી. ભાંભરાએ સાઉથહોલ ટ્રેન સ્ટેશન પાસે બેઅંતસિંહને ઉતાર્યો હતો.
ભાંભરાએ લખ્યું છે કે, ‘જ્યારે મેં કાર પાછી ફેરવી, ત્યારે મેં બેઅંતસિંહને પ્રખ્યાત ખાલિસ્તાન તરફી સંસ્થાની ઓફિસ તરફ જતા જોયો... મને આヘર્ય થયું કારણ કે ઇન્દિરાજી આ આંદોલનનો વિરોધ કરી રહ્યા હતા. પરત ફરતી વખતે હું વિચારી રહ્યો હતો કે મેં બેઅંતસિંહને બિલ્ડિંગની અંદર જતા જોયો, પણ હું નિશ્ચિતતાથી કહી શકતો નહોતો.'
ભાંભરાએ લખ્યું છે કે આ પ્રશ્ન તેમને પરેશાન કરતો રહ્યો અને તેમણે જવાબ શોધવાનું નક્કી કર્યું. મે ૧૯૮૪ માં, તેમને ખબર પડી કે બેઅંતસિંહ વ્યક્તિગત રીતે ખાલિસ્તાની ચળવળના ત્રણ મહત્વના સભ્યોને મળ્યા હતા. ભાંભરા કહે છે કે તેમણે બેઅંતસિંહને દેસ પરદેસ પ્રકાશનની ઓફિસમાં જતા જોયા જે ખાલિસ્તાન માટે સમર્થન માટે જાણીતી જગ્યા હતી. તેમના કહેવા મુજબ, બેઅંતસીંહ, જગજીતસિંહ ચૌહાણને મળ્યા હતા, જે પોતાને ખાલિસ્તાનના પ્રમુખ ગણાતા હતા.
ભાંભરાનું કહેવું છે કે તેમણે આ માહિતી તત્કાલીન રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલ સિંહને આપી હતી. સિંહે તેમને ભારત આવવા અને ઇન્દિરાજી સાથે વાત કરવા જણાવ્યુ હતું. તે કહે છે કે ઇન્દિરાજી ખૂબ વ્યસ્ત હતા અને તેમની સાથે એપોઇન્ટમેન્ટ મેળવવામાં મહિનાઓ લાગ્યા હતા. તેઓ ૩૦ ઓક્ટોબર ૧૯૮૪ ના રોજ ભારત પહોંચ્યા અને બીજા જ દિવસે ઇન્દિરાજીની હત્યા કરવામાં આવી. ભાંભરા પોતે જ જાણે છે કે જો તેમણે અગાઉ ઈન્દિરાજીને ચેતવી દિધા હોત તો તેમનો જીવ બચી ગયો હોત. તે જ સમયે, ચૌહાણે બીબીસી રેડિયો પર ધમકી પણ આપી હતી કે ઈન્દિરાજી અને તેના પરિવારનું શિરચ્છેદ કરવામાં આવશે અને ઈન્દિરાજીની હત્યા બાદ તેની પૂછપરછ પણ થઈ હતી, પરંતુ કોઈ તેની સામે આરોપ ઘડવામાં આવ્યા નથી.