ભારતના માથે ૪૨.૫ લાખ કરોડનું વિદેશી દેવું :દરેક ભારતીય દીઠ ૩૦૭૭૬ રુપિયા: વિશ્વ બેન્કનો રિપોર્ટ
૨૦૧૦માં ભારતનું વિદેશી દેવું ૨૧.૯ લાખ કરોડ હતું જે માત્ર ૧૦ વર્ષમાં વધીને ૪૨.૫ લાખ કરોડ થયું
નવી દિલ્હી : વિશ્વબેંકના તાજેતરના અહેવાલમાં જણાવ્યા મુજબ કોરોના મહામારીમાં ગરીબ દેશો પરના દેવામાં ૧૩ ટકાનો વધારો થયો છે. ભારત પર ૪૨.૫ લાખ કરોડ રુપિયાનું વિદેશી દેવું છે જે દરેક ભારતીય દીઠ ૩૦૭૭૬ રુપિયા થાય છે. ૨૦૧૦માં ભારતનું વિદેશી દેવું ૨૧.૯ લાખ કરોડ રુપિયા હતું જે માત્ર ૧૦ વર્ષમાં વધીને ૪૨.૫ લાખ કરોડ થયું છે. જેમાંથી ૮૪૨૫૪ કરોડ રુપિયાનું તો વ્યાજ જ થાય છે. રિપોર્ટમાં જણાવાયું છે કે ગરીબી ઓછી કરવા અને આર્થિક સુધારા લાગુ પાડવા માટે દેવું નિયંત્રણમાં રહે તે જરુરી છે.
કોરોના મહામારીના કારણે આરોગ્ય અને અર્થવ્યવસ્થા પર વિપરીત અસર થવાથી સંકટમાંથી બહાર લાવવા માટે વિવિધ મદદ અને પ્રોત્સાહન પેકેજ આપવામાં આવ્યા હતા.આ ઉપાયોનો ઉદ્દેશ આરોગ્ય ક્ષેત્રની પરીસ્થિતિ સુધારવાનો,ગરીબ વર્ગના લોકોને મદદ કરવાનો, મહામારીમાંથી બહાર લાવવાનો અને પાટા પરથી ઉતરી ગયેલી અર્થ વ્યવસ્થાને ફરી ગતિ પ્રદાન કરવાનો હતો. જો કે આનાથી એક વિપરીત પરીણામ એ પણ આવ્યું કે આર્થિક પછાત અને ગરીબ દેશો પહેલાની સરખામણીમાં વધારે દેવામાં આવ્યા છે. મહામારી પહેલા પણ જેમની સ્થિતિ સારી ન હતી એમની પરીસ્થિતિ ખૂબજ કફોડી થઇ છે,આમ તો કોરોના મહામારીની અર્થ વ્યવસ્થા પર વિપરીત અસર દરેક દેશ પર થઇ છે પરંતુ કેટલાક દેશોનો જીડીપી અને નિકાસ ડાઉન થઇ છે.