મુખ્ય સમાચાર
News of Saturday, 16th January 2021

કોરોનાના મુશ્કેલીભર્યા દિવસોને યાદ કરીને PMની આંખમાં આવ્યા ઝળહળિયાં

'અમે આ મુશ્કેલ લડાઈ સામે લડવા માટે અમારો આત્મવિશ્વાસ નબળો પડવા નહીં દઈએ, જે દરેક ભારતીયમાં દેખાયુ છે'

નવી દિલ્હી, તા.૧૬: કોરોના રસીકરણ અભિયાનનો શુભારંભ કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ભાવુક થઈ ગયા હતા. વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી દેશવાસીઓ સાથે વાત કરતા સમયે પીએમ મોદીએ મહામારીના શરૂઆતના દિવસોની મુશ્કેલીને યાદ કરી હતી અને તેમની આંખોમાં ઝળહળિયા આવી ગયા હતા. ગળે ડુમો ભરાયેલા અવાજ સાથે પીએમ મોદીએ એ સમયનો ઉલ્લેખ કરી રહ્યા હતા જયારે ભારત પાસે કોરોના સામે લડવા માટે મજબૂત માળખું નહોતું. મોદીએ કહ્યું હતું કે, 'કોરોના સાથેની અમારી લડાઈ આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતાની રહી છે. તેમણે કહ્યું, 'અમે આ મુશ્કેલ લડાઈ સામે લડવા માટે અમારો આત્મવિશ્વાસ નબળો પડવા નહીં દઈએ, જે દરેક ભારતીયમાં દેખાયું છે.'

પીએમ મોદી હેલ્થ વર્કર્સને યાદ કરીને ઇમોશનલ થઈ ગયા હતા. તેમણે કહ્યું, એવા સેંકડો સાથીદારો એવા પણ છે જે કયારેય દ્યરે પાછા ફર્યા જ નથી. તેમણે બીજાના જીવનને બચાવવા માટે પોતાના જીવની આહુતી આપી દીધી છે. જેથી આજે સમાજ કોરોના રસીને પહેલા આરોગ્ય કર્મીઓને આપીને તેમનું ઋણ ચુકવી રહ્યો છે.

મને યાદ છે કે એક દેશમાં જયારે ભારતીયોની ટેસ્ટ કરવા માટે મશીનો ઓછા પડી રહ્યા હતા ત્યારે ભારતે આખી લેબ ત્યાં મોકલી આપી હતી. જેથી ત્યાંથી ભારત આવતા લોકોને પરીક્ષણની સમસ્યા ન થાય. ભારતે જે રીતે આ મહામારી સામે લડત આપી છે તે આજે સમગ્ર વિશ્વ માની રહ્યું છે. કેન્દ્ર અને રાજય સરકારો, સ્થાનિક સંસ્થાઓ, દરેક સરકારી સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓએ તેઓ સાથે મળીને કેવી રીતે કામ કરી શકે છે અને વધુ સારું કરી શકે છે, આ ઉદાહરણો ભારત દ્વારા વિશ્વ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.

વડાપ્રધાને રસીકરણ અભિયાનનો પ્રારંભ કરતી વખતે ભૂતકાળના મુશ્કેલીના દિવસોને યાદ કર્યા હતા. તેમણે ભારે અવાજે કહ્યું, જનતા કર્ફ્યુ કોરોના વિરુદ્ઘ આપણા સમાજના સંયમ અને શિસ્તની કસોટી હતી, જેમાં દરેક દેશવાસીઓ સફળ થયા હતા. જનતા કર્ફ્યુએ દેશને લોકડાઉન માટે મનોવૈજ્ઞાનિક રીતે તૈયાર કર્યો હતો. અમે તાળ-થાળી અને દીવા પ્રગટાવીને દેશના આત્મવિશ્વાસને જાળવી રાખ્યો હતો. એવા સમયે જયારે કેટલાક દેશોએ ચીનમાં વધતા જતા કોરોના વચ્ચે પોતાના નાગરિકોને ભગવાના ભરોસે છોડી દીધા હતા, ત્યારે ભારતે ચીનમાં ફસાયેલા દરેક ભારતીયને પાછા લાવ્યા હતા. અને માત્ર ભારત જ નહીં, અમે અન્ય દ્યણા દેશોના નાગરિકોને પણ પાછા લાવ્યા છીએ.

(2:49 pm IST)