સરકારના મંત્રીઓને વેક્સીન પર વિશ્વાસ નથી ? રસી કેમ ન મુકાવી : કોંગ્રેસ નેતા મનિષ તિવારી
નવી દિલ્હી: એક તરફ જ્યાં સમગ્ર વિશ્વના સૌથી મોટા વૅક્સીનેશન અભિયાનની ભારતમાં શરૂઆત થઈ ગઈ છે, ત્યાં બીજી તરફ કોંગ્રેસ પાર્ટીએ વૅક્સીનની વિશ્વસનિયતા પર સવાલ ઉઠાવ્યાં છે.
કોંગ્રેસ નેતા મનિષ તિવારીએ કોરોના વૅક્સીનેશન અભિયાન પર સવાલ ઉઠાવતા પૂછ્યું છે કે, સરકારના મંત્રીઓએ કોરોના વૅક્સીન કેમ નથી લગાવી? જ્યારે વિદેશોમાં સૌ પ્રથમ જે-તે દેશના રાષ્ટ્ર પ્રમુખોએ જ પહેલા કોરોનાની વૅક્સીન મૂકાવી હતી. સરકારના કોઈ મંત્રીએ વૅક્સીન નથી લીધી. મંત્રીઓએ વૅક્સીન લેવા માટે પહેલા આગળ આવવું જોઈએ.
અગાઉ પણ મનિષ તિવારીએ કહ્યું હતું કે, કોરોના વૅક્સીન ‘કોવેક્સીન’ને સરકાર તરફથી ઉતાવળમાં ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપવામાં આવી છે. હવે સરકાર જ કહી રહી છે કે, વૅક્સીન લેનારા લોકોને એ વાતની મંજૂરી નહીં હોય કે, તેઓ પોતાના માટે વૅક્સીનની પસંદગી કરી શકે.
કોવેક્સીનના ત્રીજા તબક્કાના ટ્રાયલ પૂરા નથી થયા અને તેની ક્ષમતાને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યાં છે. સરકારે વૅક્સીનને મંજૂરી નહતી આપવી જોઈતી. તમે રોલ આઉટનો ત્રીજા તબક્કાના ટ્રાયલ તરીકે ઉપયોગ ના કરી શકો. ભારતીય ગિની પીગ નથી.