ભારતની કોરોના વેકસીનને WHO એ આપી લીલીઝંડી
વિશ્વભરમાં ભારતનો ડંકો : અનેક દેશોમાં થશે રસીકરણનો પ્રારંભ
નવી દિલ્હી તા. ૧૬ : હાલમાં જ ભારતના સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ બનાવેલી ઓકસફોર્ડ-એસ્ટ્રાજેનેકાની કોરોના વેકસીનને WHOની મંજૂરી મળી છે. આ સાથે વિશ્વના ગરીબ દેશના લોકોને કોરોનાની આ વેકસીન લગાવવામાં આવશે.
WHOએ કોરોનાની ૨ વેકસીનને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે. આ બંને વેકસીન ઓકસફર્ડ એસ્ટ્રાજેનેકાએ બનાવી છે. એક વેકસીનને ભારતની સીરમ ઈન્સ્ટીટ્યૂટે બનાવી છે તો અન્ય વેકસીન દક્ષિણ કોરિયાની એસકે બાયો નામની કંપનીએ બનાવી છે.
WHOના પ્રમુખ ટેડ્રોસ એડહાનાએ કહ્યું કે આ ગ્રીન સિગ્નલની સાથે હવે કોવેકસ પ્રોગ્રામના આધારે અનેક દેશોમાં આ વેકસીન પહોંચવાનો રસ્તો ખૂલી ગયો છે. ઉલ્લેખનીય છે કે કોવેકસ પ્રોગ્રામના આધારે દુનિયાના નિર્ધન દેશને WHOની મદદથી કોરોનાની વેકસીન પહોંચાડાશે. WHOએ આપેલી માહિતી અનુસાર દુનિયાના જે દેશોને અત્યાર સુધી વેકસીન મળી નથી અને જયાંની આબાદી કોરોનાનો ખતરો સહન કરી રહી છે ત્યાં હવે કોરોના વેકસીનેશન અભિયાન શરૂ કરાશે.
ઉલ્લેખનીય છે કે WHO વેકસીનના ઉપયોગની મંજૂરી આપતા પહેલા તેની સુરક્ષા, ગુણવત્તાનું અધ્યયન કરે છે. આ અપ્રૂવલ બાદ વેકસીન મંગાવવામાં ખચકાતા દેશ પોતાના દેશમાં વેકસીનેશન શરૂ કરી શકશે.