મુખ્ય સમાચાર
News of Wednesday, 16th June 2021

કેન્દ્ર દ્વારા રામ મંદિર ટ્રસ્ટમાં ભ્રષ્ટાચારીઓને લેવાયા છે

રામમંદિરની જમીનના વિવાદને લઈને રાજકારણ : શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ મંદિર નિર્માણના ટ્રસ્ટ પર પ્રશ્ન કરીને RSS અને ભાજપ પર નિશાન સાધ્યું

છિંદવાડા, તા. ૧૬ : રામ મંદિર જમીન વિવાદને લઈને ખુબ રાજનીતિ થઈ રહી છે. જમીનની ખરીદી પર અને સવાલો ઉભા થઈ રહ્યા છે. નેતાઓ તો આ મુદ્દે પોતાના અભિપ્રાય આપી જ રહ્યા છે, પરંતુ દ્વીપીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ પણ જ્યોતેશ્વરમાં શ્રી રામજન્મ ભૂમિ અયોધ્યામાં થઈ રહેલા મંદિર નિર્માણના ટ્રસ્ટ પર પ્રશ્ન કરીને આરએસએસ અને ભારતીય જનતા પાર્ટી પર ખુબ નિશાન સાધ્યા છે.

શંકરાચાર્યએ કહ્યું કે, ટ્રસ્ટ સરકાર તરફથી બનાવવામાં આવ્યું છે. તેમાં ભ્રષ્ટાચારીઓને શામેલ કરવામાં આવ્યા છે. ચંપત રાય કોણ છે તે પહેલા કોઈ નહોતું જાણતું પરંતુ હવે તેમને રામ મંદિર ટ્રસ્ટમાંસર્વે સર્વા બનાવી દેવામાં આવ્યા છે. આ પહેલા શંકરાચાર્યએ નામ લીધા વિના જ કેન્દ્રની નરેન્દ્ર મોદીસરકાર પર ગૌહત્યા પ્રતિબંધ ના કરવા બાબતે પણ નિશાન સાધ્યું છે.

શંકરાચાર્યએ કહ્યું કે, જ્યારે સંસદમાં તેમની સંખ્યા બે હતી ત્યારે ગૌહત્યા પ્રતિબંધ માટે સંઘર્ષ કરવામાં આવ્યો. પરંતુ હવે જ્યારે સંસદમાં સંખ્યા ૨૦૦થી વધારે થઈ ગઈ ત્યારે ગૌહત્યા પ્રતિબંધનો નારો ભૂલી ગયા. આ સિવાય શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ મંદિરના શિલાન્યાસ પર પણ પ્રશ્નો કર્યા છે. તેમણે કહ્યું કે, શ્રી રામ મંદિર નિર્માણનું શિલાન્યાસ કરતી વખતે શુભ મુહૂર્તને ધ્યાનમાં લેવામાં નથી આવ્યું. મંદિરનું શિલાન્યાસ અત્યંત અશુભ મુહૂર્તમાં કરવામાં આવ્યું છે. અમે તેનો વિરોધ પણ કર્યો પરંતુ કોઈએ ધ્યાન નહોતુ આપ્યું. આ જ કારણે ન્યાસીઓની બુદ્ધિ ભ્રષ્ટ થઈ રહી છે. જેનું ઉદાહરણ પ્રત્યક્ષ રુપે જોઈ શકાય છે.

(8:24 pm IST)