ગુરૂ આપણને સૌને અનુભવની દિક્ષા આપે છે : પુ. મોરારીબાપુ
નાથદ્વારામાં આયોજીત ઓનલાઇન શ્રી રામકથાનો સાતમો દિવસ
રાજકોટ, તા. ૧૬ : નાથદ્વારામાં પૂ. મોરારીબાપુએ વ્યાસાસને આયોજીત ઓનલાઇન શ્રીરામ કથામાં આજે સાતમાં કહ્યું કે, ગુરૂ અનુભવની દિક્ષા આપે છે.
પૂ. મોરારીબાપુએ કહ્યું કેગુરૂ આપણને શાંતિ આપે છે. ગુરૂના સાનિધ્યમાં જવાથી માનસિક શાંતિ મળે છે.
ગઇકાલે પૂ. મોરારીબાપુએ કહયું કે, આધ્યાત્મિક જગત કોના ચરણોને પ્રક્ષાલન કરવાની મંજૂરી આપે છે ? જયારે કેવટ ગંગા કાંઠે રામને પગ ધોવા માટે કહે છે ત્યારે રામ કહે છે કે હું રાજા છું એટલે ? હું ઉદાસીન રૂપમાં છું એટલે ચરણ ધોવા માંગે છે ? પણ ચરણ ચાર લોકોના જ ધોઇ શકાય છેઃ ગુરૂનાં જગતગુરૂના (રામચરિતમાનસનમાં જગતગુરૂ શબ્દ માત્ર એકવાર છે), પુરોહિતના અને ભગવાનના જેણે ૬ પ્રકારની ભકિત પ્રાપ્ત કરી છે. તો મારા ચરણ ન ધો! સંસારમાં ખોટો સંદેશ જશે.
કેવટ કહે છે મેં ગંગાજળ પીધું છે ગંગામાં જ ન્હાઉં છું, ગંગા મારી નસ-નસમાં છે ગંગા મારી ગુરૂ છે.
પૂ. મોરારીબાપુએ વધુમાં કહ્યું કે, વિજ્ઞાન સિધ્ધ કરે છે કે રેતીનું ખનન કરવાથી તેમાંથી તેલ નિકળે છે અને તેલનો મતલબ સ્નેહ છે. રાવણના દરબારમાં અંગદ કહે છે કે જેનામાં આ ૧૪ લક્ષણ દેખાય એને નિત્ય મરેલા - મૃત જાણવા. આપ પણ જુઓ કે આ લક્ષણો દ્વારા તમે શિવ છો શવ છો !
કામવશ, વામમાર્ગી, અતિ કૃપણ-લોભી, અતિ દરિદ્ર, અતિ મૂઢ, અજાસિ-જશી ન મળ્યો હોય એવો - બદનામ, સદારોગવશ, અતિવૃધ્ધ સતત ક્રોધી, અઘખાની-પાપકર્મોની ખાણ, તનુપોષક-પોતાના માટે જ જીવતો હોય એવો, અઘનિંદક-બધાની નિંદા કરનાર, વિષ્ણુવિમુખ-વિષ્ણુનો વિરોધી અને સંત તથા વેદનો વિરોધી. આવાને જીવંત છતાં મૃત જાણવા.