દેશમાં આગામી 100થી 125 દિવસ ઘણા મહત્વના : કોરોનાની ત્રીજી લહેરને લઈને કેન્દ્રની મોટી ચેતવણી
અત્યારે હર્ડ ઇમ્યુનિટી પર નથી પહોચ્યા. મોટી વસ્તીના સંક્રમણનો ખતરો યથાવત
નવી દિલ્હી : કેન્દ્રએ કોરોના વાયરસ મહામારી પર ફરી દેશવાસીઓને સાવચેત રહેવા કહ્યુ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યુ કે આવનારા 100-125 દિવસ ઘણા મહત્વના છે. વડાપ્રધાન મોદીએ પણ લોકોને કોરોના સબંધી નિયમોનું પાલન કરવાનો આગ્રહ કર્યો છે. કેન્દ્રએ કહ્યુ કે તાજેતરના દિવસોમાં દેશમાં કોરોનાના કેસમાં દર ધીમો થયો છે અને સંભવિત ત્રીજી લહેર આવવાની ચેતવણી તરીકે પણ લેવાની જરૂર છે.
નીતિ આયોગના સભ્ય ડૉ. વીકે પોલે કહ્યુ, કોરોનાની ત્રીજી લહેરની વાત એટલા માટે થઇ રહી છે કારણ કે અત્યારે હર્ડ ઇમ્યુનિટી પર નથી પહોચ્યા. મોટી વસ્તીના સંક્રમણનો ખતરો યથાવત છે. અમે સંક્રમણના રસ્તે હર્ડ ઇમ્યુનિટી સુધી પહોચવા નથી માંગતા. કેસ ઓછા થવાની ઝડપ ધીમી થઇ રહી છે. સ્થિતિ ખરાબ ના થાય માટે કોવિડ સબંધી વ્યવહાર ઘણો જરૂરી છે, તેમણે કહ્યુ કે 100-125 દિવસ ઘણા મહત્વના છે, માટે બધાએ સાવચેત રહેવુ પડશે અને જવાબદારી નીભાવવી પડશે.
નીતિ આયોગના સભ્ય ડૉ. વીકે પોલે પત્રકાર પરિષદમાં કહ્યુ કે દેશમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો થયો છે અને અમારી માટે ખતરાના સંકેત છે, તેમણે કહ્યુ કે ભારતમાં કોવિડ-19 વિરૂદ્ધ લડાઇ માટે આગામી 100થી 125 દિવસ ઘણા મહત્વના છે.
ડૉ. વીકે પોલે કહ્યુ કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ આંકડાના આધાર પર વિશ્લેષણ કર્યુ છે અને જણાવ્યુ કે વિશ્વ ત્રીજી વેવ તરફ વધી રહ્યુ છે. પૉલે WHOના આંકડાનો હવાલો આપતા જણાવ્યુ કે સ્પેનમાં 64% કેસ એક અઠવાડિયામાં વધ્યા છે. આ રીતે નેધરલેન્ડમાં કોરોનાના કેસમાં 300%નો વધારો જોવા મળ્યો છે, તેમણે કહ્યુ કે, WHOની ચેતવણી ગ્લોબલ છે, તેને આપણે સમજવાની છે અને જે જરૂરી ઉપાય છે તેને આપણે અપનાવવાનું છે.