મુખ્ય સમાચાર
News of Wednesday, 16th September 2020

ટેક્ષબલ આવક નથી છતાં તમારે આઇટી રિટર્ન ફાઇલ કરવું પડશે

સરકારે ટેક્ષ ચોરોને પકડવા નવું ગતકડું શરૂ કર્યું : રિટર્ન ફાઇલ કરવાની શરતોનો દાયરો વધાર્યો : આવક અને ખર્ચ મીસમેચ થશે તેઓને વીણી વીણીને પકડવામાં આવશે

નવી દિલ્હી તા. ૧૬ : જો તમારી વાર્ષીક કર યોગ્ય આવક અઢી લાખ રૂપિયા (૬૦ વર્ષની ઉંમર સુધીના લોકો માટે), ત્રણ લાખ રૂપિયા (૬૦થી ૭૯ વર્ષ) કે પાંચ લાખ રૂપિયા (૮૦ વર્ષથી વધુ)થી ઓછી હોય પરંતુ તમે કોઇપણ નવી શરતના દાયરામાં આવતા હોવ તો તમારે તમારે આઇટીઆર ભરવો પડશે. રિટર્ન ફાઇલ કરવાની શરતનો દાયરો વધારવાની પાછળ સરકારનો હેતુ એવા કરદાતાઓને પકડવાનો છે જેમની આવક અને ખર્ચમાં મિસમેચ હોય જે લોકોની ઘોષિત આવક અને ખર્ચ પરસ્પર મેળ નહી ખાય તેઓ પકડાશે તે નક્કી છે. પ્રમાણીક કરદાતાઓએ ચિંતા કરવાની જરૂર નથી.

ઇન્કમટેક્ષ એકટ ૧૯૬૧ની કલમ ૧૩૯ (૧)ની ૭મી જોગવાઇ હેઠળ જો કોઇ કરદાતાનું વિજળીનું બીલ વર્ષ દરમિયાન ૧ લાખ રૂપિયા કે તેથી વધુ હોય અથવા તેણે વિદેશયાત્રા પર બે લાખથી વધુનો ખર્ચ કર્યો હોય એક કે વધુ ચાલુ ખાતામાં ૧ કરોડ રૂપિયા કે તેથી વધુની રકમ જમા કરાવી હોય તો ટેક્ષ આપવા લાયક આવક નહી હોવા છતાં તેણે રિટર્ન ભરવું પડશે. જો કે વિદેશયાત્રાના મામલામાં છૂટ મળી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાડોશી દેશની યાત્રા કે ધર્મસ્થળોના યાત્રી વિદેશયાત્રામાં સામેલ નથી તેથી આવી યાત્રા કરવાવાળાઓ માટે રિટર્ન ફાઇલ કરવું જરૂર નથી.

એસસમેન્ટ યર ૨૦૨૧ના ટેક્ષ ફોર્મમાં અનેક ફેરફારો કરવામાં આવ્યા છે. જે હેઠળ કરદાતાએ એવી જાહેરાત કરવી પડશે કે તે ઉપરોકત કલમ હેઠળ રિટર્ન ફાઇલ કરવા ઇચ્છુક છે કે નહિ જાણકારોનું કહેવું છે કે આ શરતો હેઠળ રિટર્ન ફાઇલ કરનારા કરદાતાએ પોતાના દાવાના ટેકા માટે દસ્તાવેજ સંભાળીને રાખવા પડશે. ઇન્કમટેક્ષ આ બારામાં સવાલ પૂછી શકે છે. જો કે રિટર્ન ફાઇલ કરતી વખતે કોઇ ડોકયુમેન્ટની જરૂર નથી પરંતુ વિભાગ પાછલા અનેક વર્ષોનો હિસાબ ચેક કરી શકે છે.

ન્યુનત્તમ કર છૂટ યોગ્ય આવકની ગણતરી કરતી વખતે પૂંજી લાભ પર કર છૂટ પર વિચાર નહિ કરાય. પહેલા પૂંજીગત લાભ ટેક્ષ પર છુટનો દાવો કરનાર વ્યકિતએ રિટર્ન ફાઇલ કરવાની જરૂર નહોતી પરંતુ નાણાકીય એકટ ૨૦૧૯ બાદ હવે બધાને છૂટનો લાભ વગર એ જ લીમીટ કે મૂળ છૂટની સીમાની ગણતરી કરવાની જરૂર છે. એવામાં જો છૂટનો દાવો કરતા પહેલા તમારી આવક છૂટની સીમાથી વધુ હોય તો તમારે રિટર્ન ભરવું પડશે. ઉદાહરણ તરીકે કુલ આવક બે લાખ હોય અને કોઇ મકાન વેચવાથી ત્રણ લાખનો પૂંજીગત લાભ થયો હોય જેને છૂટ માટે તમે નિવેશ કર્યું હોય એવી સ્થિતિમાં તમારે રિટર્ન ભરવું પડશે. કારણ કે તમારી કુલ આવક પાંચ લાખ થાય છે. ગયા વર્ષે આવું નહોતું.

જો વિદેશમાં સંપતિ હોય તો પણ તમારે રિટર્ન ભરવું પડશે.

(3:38 pm IST)