મુખ્ય સમાચાર
News of Thursday, 16th September 2021

ભાજપની ‘નો રિપીટ ફોર્મૂલા: મુખ્યમંત્રી,સ્પીકર અને મંત્રીઓ બધા જ બદલાયા : પ્રયોગ કેટલો થશે સફળ ?

રાજ્યમાં પાર્ટીએ સમય સમય પર પરંપરાગત રાજનીતિથી હટીને કેટલાક પ્રયોગ કરતી રહી છે

અમદાવાદ : ગુજરાતમાં ભાજપે મુખ્યમંત્રી બદલ્યા બાદ હવે પુરી સરકારનો ચહેરો પણ બદલી નાખ્યો છે. વિજય રૂપાણીને હટાવીને પ્રથમ વખત ધારાસભ્ય બનેલા ભૂપેન્દ્ર પટેલને સત્તાની કમાન સોપવામાં આવી તો ‘નો રિપીટ ફૉર્મૂલા’ અપનાવતા ભાજપે જૂના મંત્રીઓની જગ્યાએ તમામ નવા ચહેરાને મંત્રી મંડળમાં જગ્યા આપી છે.

ભારતીય રાજનીતિમાં પ્રથમ વખત ભાજપે ગુજરાતમાં આ પ્રયોગ કર્યો છે. એવામાં જોવુ રહ્યુ કે ગુજરાતમાં આવતા વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને નવા ચહેરાને આગળ કરવામાં શું રાજકીય લાભ મળે છે.

ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રી મંડળમાં કુલ 24 નેતાઓએ મંત્રી પદના શપથ લીધા છે, જેમાં રાજેન્દ્ર ત્રિવેદી, જીતુ વાઘાણી, રિષિકેશ પટેલ, પૂર્ણેશ મોદી, રાઘવ પટેલ, ઉદય સિંહ ચૌહાન, મોહનલાલ દેસાઇ, કિરીટ રાણા, ગણેશ પટેલ, પ્રદીપ પરમાર, હર્ષ સંઘવી, બ્રિજેશ મેરજા, જીતુ ચૌધરી, મનીષા વકીલ, મુકેશ પટેલ, નિમિષા પટેલ, અરવિંદ રૈયાણી સામેલ છે. આ સિવાય ગજેન્દ્રસિંહ પરમાર, રાઘવ મકવાણા, વિનોદ મરોડિયા અને દેવા માલમે મંત્રી પદની શપથ લીધી હતી.

 

ગુજરાતને ભાજપની રાજકીય પ્રયોગશાળા માટે ઓળખવામાં આવે છે. રાજ્યમાં પાર્ટીએ સમય સમય પર પરંપરાગત રાજનીતિથી હટીને કેટલાક સફળ પ્રયોગ કરતી રહી છે અને તેને તેના રાજકીય લાભ મળતો રહ્યો છે. ભાજપે ‘નો રિપીટ’ને ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અપનાવી હતી અને જૂના ચહેરાને હટાવીને નવા ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા હતા, જેનો પાર્ટીને ફાયદો થયો હતો. ભાજપે આ ફોર્મૂલાને હવે 2022ની ચૂંટણીમાં અજમાવવાનો દાવ રમ્યો છે.

ભાજપ હાઇકમાને હવે ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની સાથે સાથે પુરી સરકારને જ બદલીને સત્તા વિરોધી લહેરને ખતમ કરવાનો દાંવ રમ્યો છે. ગુજરાતમાં 15 મહિના બાદ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી છે. એવામાં ભાજપ કોઇ પણ ભોગે કોઇ રિસ્ક લેવા માંગતી નથી, માટે જૂના મંત્રીઓને હટાવીને નવા ચહેરાને કેબિનેટમાં સામેલ કરી સરકારની નવી છબી રજૂ કરવાની રણનીતિનો ભાગ છે. કેબિનેટમાં યુવા ચહેરાઓને જગ્યા આપીને પાર્ટીમાં નવી ઉર્જા ભરવાનો દાંવ રમ્યો છે.

ભાજપે કેબિનેટ દ્વારા જાતીય અને ક્ષેત્રીય સમીકરણ સાધવાનો દાંવ રમ્યો છે. આ સિવાય કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા ત્રણ નેતાઓને મંત્રી મંડળમાં જગ્યા આપવામાં આવી છે, જેમાં રાઘવજી પટેલ, કિરીટ સિંહ ઝાલા અને બ્રિજેશ મેરજા સામેલ છે.

પાટીદાર સમુદાયને મેસેજ આપવા માટે ભાજપે સીએમની સાથે સાથે પટેલ સમુદાયને સૌથી વધુ કેબિનેટમાં જગ્યા આપી છે. પટેલ સમાજમાંથી છ, ઓબીસીમાંથી ચાર, બે બ્રાહ્મણ, 3 ક્ષત્રીય, ચાર આદિવાસી, ત્રણ દલિત અને એક જૈન સમુદાયના મંત્રીને સામેલ કરવામાં આવ્યા છે.

(7:39 pm IST)