નવાઝ શરીફ મુશ્કેલીમાં પાસપોર્ટ રીન્યુ નહિ થાય : લંડનમાં જ હવે રહેવુ પડશે
લંડન,તા. ૧૭: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના પાસપોર્ટની તારીખ પુરી થવા આવી છે. પરંતુ પાકિસ્તાન સરકારે તેમનો પાસપોર્ટ રીન્યુ નહીં કરવાની જાહેરાત કરી છે. નવાઝને હવે લંડનની મહેરબાની ઉપર જીવવું પડશે. પાકિસ્તાને પોતાના દેશમાં ચાલી રહેલા કેસો સંદર્ભે નવાઝને પાકિસ્તાનના હવાલે કરવા માંગણી કરી છે.
પાકિસ્તાનના ગૃહમંત્રી શેખ રાશિદે કહ્યું છે કે જો નવાઝ શરીફ પાકિસ્તાન આવવા માટે ઇચ્છુક હશે તો તેમને એક પાસ પરવાનગી આપવામાં આવશે પરંતુ તેમનો પાસપોર્ટ રીન્યુ નહિ કરવામાં આવે.
ગઇ મધરાતે નવાઝ શરીફનો પાસપોર્ટ પુરો થઇ જાય છે. હવે પાકિસ્તાને રીન્યુ કરવા ઇન્કાર જ કર્યો છે. એટલે નવાઝ શરીફ માટે ઇંગ્લેન્ડમાં રહેવું ફરજીયાત બન્યુ છે. શરીફનું નામ પાકિસ્તાને નો -ફલાય તરીકે પ્રતિબંધીત કરી દીધેલ છે અને પાકિસ્તાનમાં તેમના વિરૂધ્ધ કેસ ચાલી રહ્યા છે ત્યારે કોર્ટના આદેશ છતા નવાઝ શરીફ પાકિસ્તાન આવવા રાજી નથી.
પાકિસ્તાનના પૂર્વ અધિપતિ નવાઝ શરીફ ૭૦ વર્ષના છે અને લાહોર હાઇકોર્ટની પરવાનગીથી જ અઠવાડીયા માટે સારવાર કરાવવા નવેમ્બરથી લંડનમાં છે તેઓ પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ) પક્ષના અધ્યક્ષ છે.