ગુલેરિયા કહે છે વાયરસનું નવું સ્વરૂપ ફેલાયાની શકયતા
મહારાષ્ટ્ર અને કેરળમાં સરકારોની લાપરવાહીના કારણે કોરોના ફરી પુરપાટ ભાગ્યો જાય છે : કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનો આરોપ
નવી દિલ્હી ,તા. ૧૭: કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે કહ્યુ છે કે મહારાષ્ટ્ર અને કેરળમાં કોરોના સંક્રમણમાં અચાનક ઉછાળો આવવા માટે ત્યાંની રાજ્ય સરકારો જવાબદાર છે એ નોંધનીય છે કે આ બન્ને રાજ્યોમાં ભાજપ સિવાયના વિપક્ષોની સરકારો છે. સ્થિતી નિયંત્રણમાં લાવવા આર.ટી.પી.સી.આર ટેસ્ટ વધારવાને બદલે આ બન્ને રાજ્યોએ ભારે કાપ મૂકી દીધો છે. આ રાજ્યોની મદદ માટે મોકલાયેલ કેન્દ્રિય ટીમે આ રિપોર્ટ આપ્યો છે. કેન્દ્રીય આરોગ્ય સચિવશ્રી રાજેષ ભૂષણે કહ્યુ કે કેન્દ્રીય ટીમોને આ રાજ્યોમાં કોરોના સામેની લડાઇમાં અનેક ત્રુટીઓ માલૂમ પડી છે. જેને લીધે અહીં કોરોના કેસોમાં ઉછાળો આવ્યો છે. આ રાજ્યોમાં કુલ કોરોના કેસના ૭૨%થી વધુ સક્રીય કેસો છે. તેથી અહીં ટેસ્ટની સંખ્યા વધારી દેવી જોઇએ. નીતી આયોગના સભ્ય અને કોરોના માટે રચવામાં આવેલ રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સના અધ્યક્ષ ડો. વી.કે. પોલે કહ્યુ કે આ બન્ને રાજ્યોમાં વાયરસ નિયંત્રીત કરવાના ઉપાય લાગુ કરવામાં બેકાળજી જોવા મળી છે.જ્યારે એમ્સ-નવી દિલ્હીનાં ડાયરેકટર ડો. રણદીપ ગુલેરીયાનું માનવું છે કે બન્ને રાજ્યો કેરળ અને મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનું કોઇ બદલાયેલુ સ્વરૂપ ફેલાયલુ હોવું જોઇએ. જેનો હજી સુધી પણતો લાગ્યો નથી. દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી ઉધ્ધવ ઠાકરેએ ફરી લોકડાઉન લગાડવાની ચેતવણી સાથે સંક્રમણ રોકવાના નીતિ નિયમોનું કડક પાલન કરવા કહ્યુ છે.