તેલંગાણા હાઇકોર્ટનો ઐતિહાસિક આદેશ
પાયામાંથી ગેરકાયદેસર બિલ્ડીંગો તોડી પાડો
હૈદરાબાદ તા. ૧૭ : તેલંગાણા હાઇકોર્ટે રાજધાનીમાં ગેરકાયદેસર બિલ્ડીંગો સામે પગલા લેવામાં નિષ્ફળતા બદલ હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઉગ્ર ઝાટકણી કાઢી હતી. કોર્ટે કહ્યું કે એવું જણાઇ આવે છે કે કોર્પોરેશનના અધિકારીઓનું ગેરકાયદેસર બાંધકામ કરનારાઓ સાથે મેળાપીપણું છે. કોર્ટે કહ્યું કે, આ બાબતે કોર્પોરેશનની કામગીરી છેતરામણી છે અને દેખાવ પુરતી જ છે. તેઓ ફકત નામ પૂરતી જ નોટીસો મોકલે છે અને બાંધકામ તોડી પાડવાના નામે ફકત થોડા બખોલા જ પાડે છે.
કોર્પોરેશન નીચલી કોર્ટો દ્વારા ગેરકાયદેસર બાંધકામોને અપાયેલ મનાઇ હુકમોને હટાવવા પણ કોઇ પગલા લેતી નથી. હાઇકોર્ટની બેન્ચે કોર્પોરેશનને એમની ફરજો બજાવવામાં તકેદારી રાખવા અને ગેરકાયદેસર બાંધકામ કરનારાઓ સામે કોઇપણ પ્રકારની સહાનુભૂતિ નહિ દર્શાવવા કડક સૂચના આપી હતી.
કોર્ટે કહ્યું કે ગેરકાયદેસર બાંધકામોમાં ફકત પિલ્લરો અને સ્લેબને તોડયા પછી સંતોષ માનવાનો નથી પણ એવા બાંધકામોને પાયામાંથી તોડી પાડવાના છે.
કોર્ટે કહ્યું કે જે લોકો ગેરકાયદેસર બાંધકામ ધરાવે છે એમની પાસેથી તોડવાના ખર્ચાઓ વસૂલ કરવામાં આવે જે પ્રમાણે કાયદામાં જોગવાઇ કરાયેલ છે. કોર્પોરેશનની તોડફોડની કાર્યવાહીની વીડિયોગ્રાફી કરવામાં આવે જેથી ખ્યાલ આવે કે આવા બાંધકામો જડમૂળથી તોડી પાડવામાં આવ્યા છે.
હાઇકોર્ટે પ્રિન્સીપાલ જિલ્લા જજોને પણ સૂચનાઓ આપી, તેઓએ કોર્પોરેશનની લિમિટમાં આવેલ ગેરકાયદેસર બાંધકામની અરજીઓ તરફ તાત્કાલિક ધન આપી નિકાલ કરે ખાસ કરી એવી અરજીઓ જેમાં વચગાળાના મનાઇ હુકમો આપવામાં આવેલ છે. આવા હુકમો બિન-ભાજપ શાસિત રાજ્યોમાં જ કેમ થતાં હશે ? જો આપણા રાજ્યમાં આ પ્રકારના હુકમો થાય તો શહેરના અડધા મકાનો તોડી પાડવા પડે. હાલ શહેરોમાં અને ખાસ કરીને ગીચ વિસ્તારમાં તો માંડ ૧૦ ફૂટના રસ્તાની સામસામે ૭ માળના મકાનો બંધાઇ જાય છે, વળી એ મકાનોમાં પાર્કિંગની કોઇ વ્યવસ્થા અચૂક હોતી નથી એટલે પોતાના વાહનો બહાર રસ્તા ઉપર આગ લાગે તો ફાયર બ્રિગેડ કે એમ્બ્યુલન્સ પણ પસાર થઇ ન શકે. જો કોર્ટ કડક વલણ અપનાવશે તો બિલ્ડરો કે મ્યુ. કોર્પોરેશનના અધિકારીઓને સજા કરશે કે મહેનતના પૈસા ભેગા કરી બી.યુ.પરમિશન વગર મકાન ખરીદનારા રોકાણકારોને?