મુખ્ય સમાચાર
News of Monday, 17th May 2021

આગામી ૨૪ કલાકમાં તૌકતે વાવાઝોડું વધુ મજબૂત બનશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહત્વની બેઠક યોજી : અમિત શાહે અસરગ્રસ્ત થનારા રાજ્યોને મદદનો વિશ્વાસ આપ્યો : મહુવા-પોરબંદરની વચ્ચે ત્રાટકવાની સંભાવના

નવીદિલ્હી, તા. ૧૬ : કોરોનાની મહામારી વચ્ચે ગુજરાત તરફ આગળ વધતું તૌકતે વાવાઝોડું વધારે તોફાની બની રહ્યું છે. હવે આ મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વાવાઝોડાને ધ્યાનમાં રાખીને મહત્વની બેઠક બોલાવી છે. આ બેઠકમાં મહારાષ્ટ્ર, ગુજરાત રહિત ઘણાં રાજ્યોના અધિકારીઓ અને મુખ્યમંત્રીઓ બેઠકમાં હાજર રહ્યા છે. કર્ણાટકામાં તૌકતે વાવાઝોડાના કારણે ૭૩ ગામોમાં અસર થઈ છે અને ઘણાં વિસ્તારોમાં ભારે વરસાદ થવાથી ૪નાં મોત થઈ ગયા છે. વાવાઝોડું ૧૫૦ કિલોમીટરથી વધુની ગતિથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વર્ચ્યુઅલ બેઠકમાં તમામ રાજ્યોને શક્ય તમામ મદદ કરવા માટેનો ભરોસો આપ્યો છે. આ સિવાય તેમણે જણાવ્યું કે NDRFની વધારાની ટીમો પણ જરુરિયાત પડવા પર અસરગ્રસ્ત થનારા રાજ્યોમાં મોકલવામાં આવશે.

આગામી ૨૪ કલાકમાં વાવાઝોડું વધારે મજબૂત થશે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે. વાવાઝોડું દક્ષિણ-પશ્ચિમના રાજ્યોની દરિયાઈ પટ્ટીથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડું દીવ તરફ આગળ વધતું દેખાઈ રહ્યું છે અને મહુવાથી પોરબંદરની વચ્ચે ત્રાટકવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. અને વાવાઝોડું ગુજરાત તરફ આવતા વધારે આક્રામક બનતું રહેશે.

હવામાન વિભાગે કરેલી વધુ એક આગહીમાં વાવાઝોડું વધારે આક્રામક બનવાની સાથે ૧૭મીની સાંજે ગુજરાતથી પોરબંદરની વચ્ચે લેન્ડફોલ થશે. વાવાઝોડાના કારણે કર્ણાટકાના ૬ જિલ્લામાં ભારે વરસાદ થયો છે. જેમાં ત્રણ દરિયાકિનારે આવેલા જિલ્લાઓનો સમાવેશ થાય છે. ૨૪ કલાકમાં ભારે વરસાદના કારણે ૭૩ ગામડા પ્રભાવિત થયા છે, જેમાં ૪ લોકોના મોત થયા છે. સવારે તૌકતે વાવાઝોડું ગોવાના દરિયાકિનારે પહોંચ્યું હતું. આ દરમિયાન ભારે વરસાદ સાથે પવન ફૂંકાયો હતો, જેના લીધે ઝાડ પડવાની ઘટના બની હતી. જેના પર રાહત ટીમ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.

(12:00 am IST)