મુખ્ય સમાચાર
News of Monday, 17th May 2021

નારદા કૌભાંડ મામલે કાર્યવાહી

ટીએમસીના બે મંત્રીઓની CBIએ કરી ધરપકડ

મને પણ જેલમાં મોકલી દો : કાર્યવાહી થતા મમતા લાલઘુમ : સીબીઆઇ ઓફિસ પહોંચ્યા

કોલકત્તા તા. ૧૭ : પશ્ચિમ બંગાળ માં નારદા મામલો ફરી એક વાર ચર્ચાનો વિષય બની ગયો છે. અહીં આ ગોટાળાની તપાસ કરી રહેલી સીબીઆઇ ટીમે મમતા બેનર્જીની સરકારમાં કેબિનેટ મંત્રી હિરહાદ હાકિમ, સુબ્રત મુખર્જી, ધારાસભ્ય મદન મિત્રા અને પૂર્વ મેયર શોભન ચેટર્જીની ધરપકડ કરી લીધી. સીબીઆઇ ટીમે તેમના ઘર તથા અન્ય ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા અને પછી પૂછપરછ માટે ઓફિસ લઈ ગઈ હતી. આ વાતની જાણ થતાં જ ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જી પણ પાછળ-પાછળ સીબીઆઇ ઓફિસ પહોંચી ગયા, ત્યાં તેમણે સીબીઆઇને કહ્યું કે, મારી પણ ધરપકડ કરી લો અને જેલમાં મોકલો.

આ પહેલા રાજયના મંત્રી અને ટીએમસીના મોટા નેતા ફિરહાદ હાકિમે આરોપ લગાવ્યો હતો કે સીબીઆઇએ કારણ જણાવ્યા વગર જ તેમની ધરપકડ કરી લીધી છે. જોકે સીબીઆઇએ ત્યારે કહ્યું હતું કે તેમણે કોઈની ધરપકડ નથી કરી. જોકે પૂછપરછ બાદ સીબીઆઇએ જણાવ્યું કે આ તમામની ધરપકડ કરવામાં આવી છે.

સીબીઆઇની ટીમ સવારે મંત્રી ફિરહાદ હાકિમના ઘરે પહોંચી હતી. ટીમે તેમના ઘરની તલાશી લીધી હતી. ત્યારબાદ તેમને પૂછપરછ કરવા માટે ઓફિસ લઈને ગયા. બીજી તરફ સીબીઆઇએ હાલમાં પશ્યિમ બંગાળના રાજયપાલ જગદીપ ધનખડથી નારદા ગોટાળાની તપાસના સંબંધમાં મંજૂરી પણ માંગી હતી. સીબીઆઇ તરફથી હિરહાદ હાકિમ, સુબ્રત બેનર્જી, મદન મિત્રા અને શોભન ચેટર્જીની વિરુદ્ઘ કેસ ચલાવવા માટે આ મંજૂરી માંગવામાં આવી હતી. ચૂંટણી બાદ રાજયપાલ તરફથી સીબીઆઇને તેની મંજૂરી આપવામાં આવી હતી.

(4:23 pm IST)