મોદીના ૫ મોટા નિર્ણય જેણે બદલી દીધી દેશની દશા અને દિશા
કાશ્મીરમાં આર્ટિકલ ૩૭૦થી આઝાદીથી લઈને મુસ્લિમ મહિલાઓને ત્રણ તલાકથી મુકિતઃ PM મોદીના પાંચ અગત્યના નિર્ણય જાણો
નવી દિલ્હી, તા.૧૭: નરેન્દ્રભાઇ મોદી મે ૨૦૧૪માં દેશના વડાપ્રધાન બન્યા અને ત્યારથી લઈને અત્યાર સુધી ૬ વર્ષમાં તેઓએ અનેક એવા નિર્ણ લીધા જેના કારણે દેશને દુનિયાની અગ્રિમ પંકિતમાં લાવીને ઊભું કરી દીધું. વડાપ્રધાને છેલ્લા ૬ વર્ષના કાર્યકાળમાં જે યોજનાઓને અમલી કરી છે તેમાં 'મોદી સ્ટાઇલ' સ્પષ્ટ જોવા મળે છે. આ છે તે ૫ મહત્વપૂર્ણ નિર્ણયો...
પહેલો નિર્ણયઃ કાશ્મીર માટે બનેલા આર્ટિકલમાં સંશોધન - આર્ટિકલ ૩૭૦થી આઝાદી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના એજન્ડામાં સૌથી ઉપર રહ્યું હતું. ૨૦૧૪માં પણ જયારે મોદી સરકાર બની તો તેની પ્રાથમિકતામાં આ કામ હતું, પરંતુ પૂરું નહોતું થઈ શકયું. મે ૨૦૧૯માં જયારે નરેન્દ્રભાઇ મોદી બીજી વાર વડાપ્રધાન બન્યા તો તેના થોડાક મહિના બાદ કાશ્મીરથી આર્ટિકલ ૩૭૦ને ખતમ કરી દેવામાં આવ્યો. નરેન્દ્રભાઇ મોદીનો આ નિર્ણય સૌથી મોટો ઐતિહાસિક હતો.
બીજો નિર્ણયઃ મોદી સરકારનો નાગરિકતા સંશોધન કાયદો અને એનઆરસી - બીજા કાર્યકાળના પહેલા સાત મહિનામાં જ મોદી સરકારે ફરીથી મોટો નિર્ણય લઈને સૌને ચોંકાવી દીધા. આ નિર્ણય હતો નાગરિકતા સંશોધન કાયદાને પાસ કરાવવાનો. નાગરિકતા સંશોધન કાયદા હેઠળ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના લઘુમતીઓને ભારતમાં નાગરિકતા અધિકાર મળી ગયા.
ત્રીજો નિર્ણયઃ અયોધ્યા વિવાદનો અંત - દેશના સૌથી મોટા કાયદાકીય વિવાદ એટલે કે અયોધ્યા વિવાદનો ઉકેલ પણ મોદી સરકારના સમયમાં આવી ગયો. વર્ષોથી કોર્ટની કાર્યવાહીમાં અટવાયેલા ભગવાન રામને સુપ્રીમ કોર્ટથી ન્યાય મળ્યો અને ૯ નવેમ્બર ૨૦૧૯ના રોજ સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદાએ અયોધ્યામાં રામજન્મભૂમિને જ રામનું જન્મસ્થળ માન્યું
ચોથો નિર્ણય- ત્રણ તલાકનો ખેલ ખતમ - વડાપ્રધાન મોદીએ મુસ્લિમ મહિલાઓને ત્રણ તલાકની કાળી પ્રથાથી મુકિત અપાવી. નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે ત્રણ તલાક કાયદાને સંસદથી પાસ કરાવીને મુસ્લિમ મહિલાઓને મોટી ભેટ આપી.
પાંચમો નિર્ણયઃ ગરીબ સવર્ણો માટે ૧૦ ટકા અનામતની જોગવાઈ - દેશની અનામત વ્યવસ્થામાં ફેરફાર કરવો વડાપ્રધાન માટે સરળ કામ નહોતું. ઈતિહાસ સાક્ષી છે કે જયારે જયારે અનામતમાં ફેરફારનો પ્રયાસ યો, સરકારની ખુરશી ડગમગી ગઈ. તેમ છતાંય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગરીબ સવર્ણોને અનામત આપવાનું નક્કી કર્યું અને કેન્દ્ર સરકારે આ કાયદાને અમલી કર્યો.