સુપ્રીમ કોર્ટના ચુકાદા વિરુદ્ધ શાહીન બાગના દેખાવકારોએ રીવ્યુ પિટિશન દાખલ કરી : ચુકાદામાં માત્ર સિક્કાની એક જ બાજુ જોવાઈ છે : ચુકાદાને કારણે લોકોનો શાંતિપૂર્ણ દેખાવો કરવાનો અધિકાર છીનવાઈ જશે : પોલીસને દમન કરવા માટે છુટ્ટો દોર મળી જશે
ન્યુદિલ્હી : દિલ્હીમાં જાહેર જગ્યા ઉપર દેખાવો કરી લોકોને અડચણરૂપ થવા મામલે શાહીન બાગ ખાતેના દેખાવકારોને સુપ્રીમે કોર્ટે દોષિત ગણતો ચુકાદો આપ્યા પછી દેખાવકારો પૈકી કનીઝ ફાતિમા સહીત 12 વ્યક્તિઓએ સુપ્રીમ કોર્ટમાં રીવ્યુ પિટિશન દાખલ કરી છે.
સુપ્રીમ કોર્ટે 7 ઓક્ટોબરના રોજ આપેલા ચુકાદામાં જણાવ્યું હતું કે સરકારની પોલિસી વિરુદ્ધ દેખાવો કરવા માટે નક્કી કરેલા કોઈ સ્થળે જવું જોઈએ.જાહેર રસ્તાઓ ઉપર લોકોને અડચણરૂપ થાય તે રીતે દેખવો કરવા ન જોઈએ .
નામદાર કોર્ટના ચુકાદા સામે 12 વ્યક્તિઓએ દાખલ કરેલી રીવ્યુ પિટિશનમાં જણાવ્યા મુજબ ચુકાદામાં માત્ર એક બાજુ જ જોવાઈ છે.સામે પક્ષે સરકારની પોલિસી વિરુદ્ધ પોલીસ દમનને ધ્યાનમાં લેવાયું નથી.આવું થવાથી સરકારની નીતિ રીતિઓ વિરુદ્ધ શાંતિપૂર્ણ તથા કોઈપણ જાતના હિંસક સાધનો વગરના દેખાવો કરવાના લોકોના અધિકાર ઉપર તરાપ આવી જશે.તેમજ પોલીસને દમન કરવાનો છુટ્ટો દોર મળી જશે.
ઉપરાંત શાહિબાગ દેખાવો અંગે તપાસ કરનારી કમિટીએ દેખાવકારોને સુપ્રીમ કોર્ટમાં રજુઆત કરવાની તક પણ નહોતી આપી તેવી રીવ્યુ પિટિશનર્સના એડવોકેટ કબીર દીક્ષિતે દલીલ કરી હોવાનું બી.એન્ડ બી. દ્વારા જાણવા મળે છે.