મુખ્ય સમાચાર
News of Thursday, 18th February 2021

કર્ણાટકના બેંગલુરૂની મંજુશ્રી કોલેજ ઓફ નર્સિંગમાં 210માંથી એક સાથે 40 વિદ્યાર્થીઓને કોરોના પોઝીટીવઃ 18 વિદ્યાર્થીઓ સારવારમાં

નવી દિલ્હી: કેરળમાં કોરોનાના વધતા કેસ વચ્ચે હવે કર્ણાટકમાં પણ કોરોના  બ્લાસ્ટ જોવા મળ્યો છે. અહીં એક કોલેજના 40 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે. આ ઉપરાંત એક અપાર્ટમેન્ટમાં એક સાથે 103 લોકો કોરોના સંક્રમિત થયા છે.

નર્સિંગ કોલેજના 40 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ

બેંગલુરુની મંજુશ્રી કોલેજ ઓફ નર્સિંગના 210 વિદ્યાર્થીઓમાંથી 40 વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાંથી 18 વિદ્યાર્થીઓને વિક્ટોરિયા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જ્યારે અન્ય વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં સેલ્ફ આઈસોલેશનમાં રખાયા છે. મોટાભાગના વિદ્યાર્થીઓ કેરળના છે.

અપાર્ટમેન્ટના 103 લોકો કોરોના સંક્રમિત

આ બાજુ બેંગલુરુના જ બોમનહલ્લીમાં એસએનએન રાજ લેકવ્યૂ અપાર્ટમેન્ટના 103 લોકો કોરોના સંક્રમિત મળી આવતા હડકંપ મચી ગયો છે. જેમાંથી 96 લોકોની ઉંમર 60 વર્ષથી વધુ છે. હાલમાં જ આ એપાર્ટમેન્ટમાં પાર્ટી થઈ હતી અને ત્યારબાદ આ લોકોની કોરોના તપાસ કરવામાં આવી. જેમાંથી આટલા મોટા પાયે લોકો કોરોના સંક્રમિત થયા છે. બેંગલુરુ મહાનગરપાલિકા કમિશનરે આ વાતની જાણકારી આપી. તેમણે કહ્યું કે આ દિશામાં જરૂરી પગલાં લેવાઈ રહ્યા છે.

કર્ણાટકમાં કેરળથી આવતા લોકો અંગે સતર્કતા

કોરોનાના નવા કેસ સામે આવ્યા બાદ કર્ણાટકે કેરળથી આવતા લોકોને લઈને સતર્કતા વધારી છે. રાજ્ય પ્રશાસનના જણાવ્યાં મુજબ કેરળથી કર્ણાટકની હોટલ, રિઝોર્ટ, હોસ્ટેલ અને કોઈ પણ ઘરમાં રોકાવવા માટે 72 કલાક પહેલા નેગેટિવ આરટી-પીસીઆર રિપોર્ટ હોવો જરૂરી છે. તપાસ દરમિયાન પોઝિટવ આવેલા લોકોને NIMHANS મોકલવામાં આવશે. કોવિડ નોડલ અધિકારીની મંજૂરી વગર હોસ્ટેલ અને કોલેજમાં રહેતા લોકોને તેમના સંબંધીઓને મળવાની પરવાનગી નહીં મળે. સંબંધિત વિભાગે કેરળથી કર્ણાટક આવતા વિદ્યાર્થીઓની એક યાદી પણ તૈયાર રાખવી પડશે. આ નિયમ કંપનીઓ, આરડબલ્યુએ માટે પણ લાગુ કરાયા છે.

છેલ્લા 24 કલાકમાં કોરોનાના 11,610 નવા દર્દીઓ

સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિની વાત કરીએ તો કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના વાયરસના નવા 11,610 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસની સંખ્યા 1,09,37,320 પર પહોંચી છે. જેમાંથી 1,06,44,858 લોકો કોરોનાને માત આપીને સાજા થઈ ગયા છે જ્યારે 1,36,549 લોકો હજુ પણ સારવાર હેઠળ છે.

કોરોનાના લીધે એક જ દિવસમાં 100 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 1,55,913 પર પહોંચ્યો છે. દેશમાં રસીકરણ પણ મોટા પાયે ચાલુ છે. અત્યાર સુધીમાં કુલ 89,99,230 લોકોને રસી આપવામાં આવી છે.

(12:00 am IST)