મહારાષ્ટ્રના ત્રણ શહેરોમાં ફરીથી લોકડાઉનના એંધાણ : મુખ્યમંત્રીએ બોલાવી ઈમરજન્સી બેઠક
મુખ્યમંત્રીએ અમરાવતી, યવતમાલ અને અકોલા જિલ્લાના વહીવટી અધિકારીઓ સાથે બેઠક કરી
મહારાષ્ટ્ર સરકારે યવતમાલ, અમરાવતી અને અકોલા જિલ્લામાં કોરોનાની સ્થિતિને જોતા ગમે તે સમયે અહીં સખ્ત પ્રતિબંધોનું એલાન કરી શકે છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને નાયબ મુખ્યમંત્રી અજિત પવારે આ મુદ્દે ગુરૂવારે સવારે ઈમરજન્સી બેઠક કરી હતી. જેના આધારે લૉકડાઉન લાગુ થવાની સંભાવના વધી ગઈ છે
આ અંગે અજિત પવારે જણાવ્યું કે, મુખ્યમંત્રીએ અમરાવતી, યવતમાલ અને અકોલા જિલ્લાના વહીવટી અધિકારીઓ સાથે બેઠક કરી છે અને કોરોના સંક્રમણને લઈને ત્યાંની સ્થિતિની સમીક્ષા કરી છે. જલ્દી યોગ્ય નિર્ણય લેવામાં આવી શકે છે. ઉદ્ધવ ઠાકરેએ રાજ્યમાં વધતા જતાં કોરોનાના કેસોને જોતા ઈમરજન્સી બેઠક બોલાવી હતી. જેમાં સ્વાસ્થ્ય મંત્રી સહિત વરિષ્ઠ વહીવટી અધિકારીઓ સામેલ રહ્યાં હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા દિવસોમાં મહારાષ્ટ્રમાં નવા કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં બુધવારે કોરોનાના 4,787 નવા કેસ સામે આવ્યા, જે 2021માં રાજ્યમાં એક જ દિવસમાં આવેલા સૌથી અધિક કેસ છે. જેમાં બુધવારે સૌથી વધુ 230 નવા કેસ અમરાવતીમાં નોંધાયા છે. અહીં મંગળવારે 82 કેસ નોંધાયા હતા. જ્યારે અકોલામાં બુધવારે 105 અને મંગળવારે 67 નવા કેસ નોંધાયા હતા.