મુખ્ય સમાચાર
News of Tuesday, 18th May 2021

કોંગ્રેસના દિગ્ગજ નેતાએ કર્યા ભાજપના વખાણ

સફળ થવા માટે ભાજપની જેમ મોટી રીતે વિચારવું પડશે : સલમાન ખુર્શીદે કોંગીને આપી સલાહ

પૂર્વ કેન્દ્રીય મંત્રીએ એ વાત પર ભાર મૂકયો કે કોંગ્રેસે આવો નિરાશાવાદી દ્રષ્ટિકોણ અપનાવવો જોઈએ નહીં : કે તે પોતાની વધુ પડતી જમીન ગુમાવી ચૂકી છે અને તેને ફરીથી મેળવી શકે તેમ નથી

નવી દિલ્હી તા. ૧૮ : કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદને લાગે છે કે પાર્ટીએ ભાજપની જેમ મોટું વિચારવું જોઈએ. તો જ તે હાલની સ્થિતિમાંથી બહાર નીકળી શકે છે. ખુર્શીદે કહ્યું કે કોંગ્રેસે આવા નિરાશાવાદી દ્રષ્ટિકોણને ન અપનાવવો જોઈએ કે તે ખુબ નાની અને નબળી પડી ગઈ છે અને પોતાની ગુમાવેલી જમીન મેળવી શકતી નથી. તેણે ભાજપની જેમ મોટું વિચારવું જોઈએ.

સલમાન ખુર્શીદે કહ્યું કે મે પશ્ચિમ બંગાળ અને અસમથી એક વસ્તુ શીખી છે કે તમારે એ કયારેય સ્વીકારવું જોઈએ નહીં કે તમે ખુબ નાના છો, નબળા છો અને કોઈ વિસ્તાર કે રાજયમાં કઈ મોટું કરી શકો તેમ નથી. તેમણે વધુમાં કહ્યું કે મારું માનવું છે કે ભાજપ એ જગ્યાઓ પર મોટા વિચાર સાથે ઉતરી કે જયાં તેનું કોઈ અસ્તિત્વ નહતું.

પૂર્વ કેન્દ્રીય મંત્રીએ એ વાત પર ભાર મૂકયો કે કોંગ્રેસે આવો નિરાશાવાદી દ્રષ્ટિકોણ અપનાવવો જોઈએ નહીં. કે તે પોતાની વધુ પડતી જમીન ગુમાવી ચૂકી છે અને તેને ફરીથી મેળવી શકે તેમ નથી. ખુર્શીદે કહ્યું કે મને લાગે છે કે પ્રતિબદ્ઘતા અને વિશ્વાસ સાથે જ આપણે એ કરી શકીએ છીએ અને આપણે કરવું પણ જોઈએ. તેમણે એ વાત પર સહમતિ વ્યકત કરી કે પશ્ચિમ બંગાળમાં લોકોએ એક રણનીતિ સાથે મતદાન કર્યું જેના કારણે કોંગ્રેસ અને ડાબેરી પક્ષોનો સફાયો થઈ ગયો.

(10:30 am IST)