'રામ ભરોસે' છે યુપીની સ્વાસ્થ્ય સેવાઓ
હાઇકોર્ટની આકરી ટીપ્પણીઃ આપ્યા પ સૂચનો
લખનૌ, તા.૧૮: ઉત્તરપ્રદેશમાં કોરોના સામે લડવાની સવલતો પર સુનાવણી કરતા અલ્હાબાદ હાઇકોર્ટે ચોખ્ખું કહયું છે કે વર્તમાન સ્થિતીમાં રાજયના ગામડા, તાલુકા અને નાના શહેરોમાં આરોગ્ય સેવાઓ રામભરોસે છે. અલ્હાબાદ હાઇકોર્ટની જસ્ટીસ અરજીત કુમાર અને જસ્ટીસ સિધ્ધાર્થ વર્માની બેંચે જાહેર હિતની અરજી પર સુનાવણી કરતા બિજનૌરનું ઉદાહરણ લીધું હતું.
આ સુનાવણીમાં બીજનૌરના જીલ્લા કલેકટરે કહયું કે ૩૧ માર્ચ ૨૦૨૧થી ૧૨ મે વચ્ચે બિજનૌર શહેરમાં ૨૬૨૪૫ અને ગ્રામ્ય વિસ્તારોમાં ૬૫૪૯૧ ટેસ્ટીંગ કરાયા. કોર્ટમાં દાખલ કરાયેલ સોગંદનામા અનુસાર બિજનૌરની ૩ સરકારી હોસ્પિટલોમાં ૧૫૦ બેડ, પ બાઇપેપ મશીન, ૧૭ ઓકસીજન કોન્સનટ્રેટર અને ૨૫૦ ઓકસીજન સીલીન્ડર છે. તેમણે કહયું કે ૩૨ લાખની ગ્રામીણ વસ્તી માટે ૧૦ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ૩૦૦ બેડ છે એટલે એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર ત્રણ લાખની વસ્તીનો બોજ છે.
અલ્હાબાદ હાઇકોર્ટ મેરઠ મેડીકલ કોલેજમાં ૬૪ વર્ષના બુઝુર્ગ સંતોષકુમારના આઇસોલેશન વોર્ડમાં મોત અને તેના શબની બેદરકારી રાખીને બિનવારસ તરીકે અંતિમ સંસ્કાર કરી દેવાના કેસમાં ફરજ પરના ડોકટર અને પેરામેડીકલ સ્ટાફ સામે કડક કાર્યવાહી કરવા અને બુઝુર્ગના પરિવારને વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
- હાઇકોર્ટે યુપી સરકારને આપેલ પાંચ સુચનો
. મોટા ઔદ્યોગીક ગૃહો પોતાનું દાન માટેનું ફંડ રસી ખરીદવામાં વાપરે
. બીએચ યુ વારાણસી ઉપરાંત ગોરખપુર, પ્રયાગરાજ, આગ્રા અને મેરઠની કોલેજોને ૪ મહિનામાં એસજી પીજીઆઇ લેવલની સુવિધાવાળી બનાવે.
. દરેક નાના શહેરમાં ૨૦ એમ્બ્યુલંસ અને દરેક ગામમાં આઇસીયુ સુવિધાવાળી ૨ એમ્બ્યુલેસ જરૂર રાખવામાં આવે.
. હાઇકોર્ટે નર્સીગ હોમની સુવિધાઓ વધારવાના પણ આદેશો આપ્યા.
. ૩૦ બેડવાળા નર્સીગ હોમે પોતાનો ઓકસીજન પ્લાન્ટ રાખવો પડશે.